દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મને લઈને અનેક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. પહેલી ડિસેમ્બરે પ્રર્દિશત થનારી ફિલ્મની રિલીઝ આગળ ધકેલવામાં આવતાં એ ક્યારે રજૂ થશે એ તરફ બોલિવુડ તેમ જ ચાહકોની નજર લાગેલી છે. પદ્માવતી ફિલ્મની રાહ જોનારા દર્શકોને નિરાશ કરે એવા સમાચાર છે. પદ્માવતી માર્ચ મહિના પહેલાં રજૂ થવાની શક્યતા બહુ ઓછી હોવાનું જણાઈ રહ્યું છે. પદ્માવતી ફિલ્મનો અભ્યાસ કરવા માટે સેન્સર બોર્ડ બહુ જલદી જ ઇતિહાસકારોની પેનલ રચવાની તૈયારીમાં છે. પદ્માવતી ફિલ્મ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બની હોવાનો દાવો નિર્માતાઓએ કર્યો છે.એનો અભ્યાસ કરવા માટે આ પેનલ તૈયાર કરવામાં આવી રહી છે.ચૂંટણી બાદ ફિલ્મને ગ્રીન સિગ્નલ મળશે એવી આશા દરેક કલાકારને હતી, પણ સેન્સરના આ નિર્ણયને કારણે તેઓ નિરાશ થઈ ગયા છે. સેન્સર બોર્ડનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પદ્માવતી ફિલ્મે નકામી ગૂંચવણ ઊભી કરી છે. ફિલ્મ ઇતિહાસ આધારિત હોવાનું કહેવામાં આવ્યું હતું, પણ હવે ફિલ્મમાંથી કેટલીક વસ્તુઓની કાપકૂપ થશે એવું સેન્સર બોર્ડના સૂત્રોએ કહ્યું હતું. સેન્સર બોર્ડને ફિલ્મ મોકલતી વખતે ભરવામાં આવેલા ફોર્મમાં કેટલાક મુદ્દા રહી ગયા હોવાથી ફિલ્મ ફરી નિર્માતાને મોકલવામાં આવી હતી. ફોર્મમાં ‘ફિલ્મ કાલ્પનિક કે ઇતિહાસ પર આધારિત’ એ કોલમ નિર્માતાઓએ ખાલી રાખી હતી. તેથી ફિલ્મને મંજૂરી મળી ન હતી. આ ઉપરાંત પદ્માવતી અગાઉ ૪૦ જેટલી ફિલ્મો બોર્ડ સમક્ષ છે. તેથી આ ફિલ્મને જાન્યુઆરી માસમાં લીલીઝંડી મળે તેવી શક્યતાઓ ઓછી છે. ઉલ્લેખનીય છે કે પદ્માવતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ થયા બાદ વિવાદો શરૂ થયા છે. વિવિધ રાજપૂત સંગઠનોએ ભણસાલીની આ ફિલ્મનો વિરોધ કર્યો છે.
આગળની પોસ્ટ