ડ્રિંકિંગ વૉટર ઍન્ડ સૅનિટેશન ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરના કહેવા મુજબ ભારતનાં વિવિધ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાં આવેલા ૧૨,૫૭૭ વિસ્તારોમાં રહેતા ૧૦.૦૬ કરોડ લોકોને પીવાનું જે પાણી મળે છે એમાં વધુપડતું ફ્લોરાઇડ હોય છે. આ સમસ્યાના નિવારણ માટે કમ્યુનિટી વૉટર પ્યૉરિફિકેશન પ્લાન્ટ્સ બનાવવા કેન્દ્ર સરકારે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.વધુ આર્સેનિક ખનિજ ધરાવતા ૧૩૨૭ અને અતિશય ફ્લોરાઇડ ધરાવતા ૧૨,૦૧૪ વિસ્તારોમાં પીવા અને રાંધવાનું સ્વચ્છ પાણી મળી રહે એ માટે સરકારે ૨૦૧૬ના માર્ચમાં ૮૦૦ કરોડ રૂપિયા ફાળવેલા. ફ્લોરાઇડ અને આર્સેનિકની ગંભીર સમસ્યાથી ઝૂઝતાં બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનને ૧૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ પણ ફાળવવામાં આવ્યું હતું.ફ્લોરાઇડ એવું ખનિજ છે જે વધુ માત્રામાં લેવાય તો શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. એનાથી હાડકાં, મગજ, થાઇરૉઇડ, પીનિયલ ગ્રંથિ અને શરીરના મુખ્ય ટિશ્યુને ડૅમેજ થઈ શકે છે. આર્સેનિક અત્યંત ઝેરી અને ન્યુરોટૉક્સિન ખનિજ છે જે બુદ્ધિઆંક ઘટાડવા ઉપરાંત કૅન્સરજન્ય પણ મનાય છે.