ભગવાન સોમનાથ દાદાની ભૂમિનાં શાક શોખીનો અને સ્વાદ શોખીનોમાં હોટફેવરીટ શાક છે લીલીછમ પાંદડી. પાંદડીનું વાવેતર માધવપુર, માંગરોળ, ચોરવાડ, પ્રભાસપાટણમાં જ થાય છે. પાંદડીના ખાલી ખેતર પાસેથી જ સવારનાં ઉગતા કે સાંજના નમતા પહોરે પસાર થાવ તો પણ તેની સોડમ અને સુગંધ તમને તરબોળ કરી દેય અને આ રસ્તો એટલે સોમનાથ ગામમાં અતિથીગૃહમાંથી પઠાણવાડા થઈ ગામમાં જતાં રસ્તે રામવાડીમાં ઉગેલી પાંદડીની સુગંધ અનોખી અનુભૂતિ કરાવે છે. અર્ધચંદ્રાકાર આ પાંદડી શાક કરતાં પહેલાં ફોલવી પડે છે,જે બધાંને પણ આવડે અને એમાં પણ નવી પેઢીને તો કદાચ નહીં જ. પાંદડીને પહેલાં ચપટીથી પકડવાની પછી રેસા કાઢી પાન તેમજ દાણાનું શાક બનાવાય છે. આ પાંદડીનું પાંદડી-રીંગણનું શાક ટેસ્ટફુલ બને છે.
હાલ પાંદડી બજારમાં ૫૦ થી ૬૦ રૂપિયે કિલો મળે છે પણ શરૂઆતમાં તેનો ભાવ ૧૦૦-૧૨૫ જેટલાંથી પ્રારંભ થાય છે. પાંદડીનું વાવેતર નવરાત્રિ પછી કરાય છે અને તેને પાણી ઓછું પાવું પડે છે. રેતાળ જમીન તેને માફક આવે છે. આ પાંદડી જો મોટી હોય તો તેનાં દાણા સૂકવી એને ‘ઓળીયા’તરીકે કરિયાણાની દુકાને વેચાય ચે. કાર્તક માસથી ફાગણ સુધી આ પાંદડી શાકબજારમાં વેચાય છે. પ્રભાસનાં મૂળ વતનીઓ અને હાલ મુંબઈ, અમદાવાદ, રાજકોટ કે અન્યત્રા રહેતાં હોય તેઓ જ્યાં સુધી આ પાંદડી ના ખાય ત્યાં સુધી વરસ સુધર્યાનો અહેસાસ ન થાય એટલે આવતાં-જતાં લોકો સાથે સથવારે કે મંદિરના આ માસમાં આવતાં ઉત્સવોમાં આવવાનું થાય ત્યારે પોતાનાં માટે અને સંબંધીઓ માટે પાંદડી અચૂક લઈ જતાં હોય છે. આ પાંદડીનાં પાકનું વળી એવું કે, જેમ ઝાકળ પડે તેમ ફાલ વધુને વધુ આવતો જાય.
સામાન્ય રીતે સૌ પોતાનું શાક ઘરમાં જ છીએ પરંતુ પ્રભાસમાં જ થતી આ વિશિષ્ટ શાક પાંદડી કેટલાંય પરિવારો ઘરનાં ઓટલે વીણે અને વાતો કરતાં કરતાં પાડોશનાં બહેનો તે પાંદડીને ફોલવામાં મદદ કરે અને પાંદડીની રેસીપીની અને અવનવી વાતો કરી ઢગલો પાંદડી ધડાકામાં ફોલી નાંખે.
ફાસ્ટફુડ અને પિઝા ખાનારી પેઢી વિવિધ ચટાકેદાર મસાલાઓ અને રસઝરતા તેજાનાઓ તથા લીલીછમ કોથમીર અને ઢોકળી સાથેનું પાંદડીનું શાક ખાય ત્યાર બોલી ઉઠે કે ‘વાહ ક્યા શાક હૈ…’
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)