ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના પરિણામો બાદ અંતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ચુપકીદી તોડતા કહ્યું કે, લોકોએ જે નિર્ણય આપ્યો છે તેઓને તે સ્વીકાર કરે છે પરંતુ આ પરિણામ એ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને માટે બોધપાઠ લેવા બરોબર છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશની જનતા હવે ભાજપના ષડયંત્રો સમજવા લાગી છે અને આવનારા સમયમાં આની અસર જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું કે, આ પરિણામો એ કોંગ્રેસ અને મારા માટે નૈતિક મનોબળની જીત છે. રાહુલે ગુજરાત પરિણામો અંગે ટિપ્પણી કરતા કહ્યું કે, આ પરિણામોએ વડાપ્રધાન મોદી અને ભાજપને એવો સંકેત આપ્યો છે કે, જો તમારામાં ગુસ્સો અને ક્રોધ છે તો તે તમને કામ નહીં આવે. કેટલો પણ ગુસ્સો હોય, કેટલા પણ પૈસા હોય અને કેટલો પણ પાવર હોય પરંતુ પ્રેમ તેને હરાવી દે છે અને આ પ્રેમ મને દેખાયો છે. ગુજરાત અને હિમાચલમાં લોકોએ આપેલા પરિણામ અંગે આભાર માનતા તેમણે કહ્યું કે, આ બંને રાજ્યોના પરિણામો માટે હું રાજ્યોની જનતાનો આભાર માનું છું. રાહુલે કહ્યું કે, રસપ્રદ વાત એ છે કે, ચૂંટણી જીત્યા બાદ મોદી જેમ કહી રહ્યા છે તેમ આ તેમના વિકાસની ચૂંટણીની જીત છે. જીએસટી ઉપર લોકોએ મુકેલા વિશ્વાસની જીત છે પરંતુ તેમના ભાષણમાં ક્યાંય તેમણે વિકાસ કે જીએસટીનો ઉલ્લેખ કર્યો ન હતો. આ તબક્કે વડાપ્રધાનની વિશ્વસનીયતા ઉપર પણ ખુબ મોટો સવાલ થાય છે. આવનારા સમયમાં આ વિશ્વસનીયતા લોકોમાં છવાયેલી છે કે કેમ તે અંગે જોવા મળશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન સતત ભ્રષ્ટાચારની વાત કરતા રહ્યા પરંતુ આ પ્રચારમાં તેઓ રાફેલ કે જય શાહના મુદ્દે એક પણ શબ્દ બોલ્યા નથી. હું પુછવા માંગું છુ કે ૫૦૦૦૦ની જય શાહની કંપનીએ કરોડો રૂપિયાનો વેપાર કેવી રીતે કર્યો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ