ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના નવસર્જન ગુજરાતને અભૂતપૂર્વ સમર્થન અને પ્રચંડ જનાદેશ આપવા બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જનતાના ચુકાદાને માથે ચઢાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ જે પ્રકારે અમને પ્રેમ અને જનાદેશ આપ્યો છે તે બદલ અમે જનતાના આભારી છીએ. તેમણે કોંગ્રેસની હારનો નિખાલસપણે સ્વીકાર કરતાં અને પ્રદેશ પ્રમુખ તરીકે તેની જવાબદારી પોતાના માથે લેતાં જણાવ્યું હતું કે, ભલે કોંગ્રેસ હારી છે પરંતુ જનતાએ અમને મતો વધારે આપ્યા છે અને તેથી અમારી બેઠકો નોંધનીય રીતે વધી છે. ભાજપની જીત અંગે તેમણે સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપે આ વખતની ચૂંટણીમાં સરકારી તંત્રનો દૂરપયોગ અને નીચલા સ્તરની રાજનીતિ કરી છે. ઇવીએમ સામે પણ અન્ય નેતાઓ અને જનતાએ સવાલો ઉઠાવ્યા છે ત્યારે ચૂંટણી પંચે શંકાનું સમાધાન કરવું જોઇએ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ભાજપને જે બેઠકો મળી છે, તે જોતાં અત્યારસુધીની ચૂંટણીમાં તેને સૌથી ઓછી બહુમતી આ વખતે મળી હોય તેમ જણાય છે, જયારે ગુજરાતની જનતાએ અમને કોંગ્રેસને ચાર ટકા વધુ મતો આપ્યા છે. ગત વખત કરતાં આ વખતે કોંગ્રેસની ઘણી બેઠકો વધી છે, તે બદલ અમે ગુજરાતની જનતાના આભારી છીએ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમને ગુજરાતની જનતાએ આપેલા પ્રેમ અને જનાદેશ બદલ રાજયની પ્રજાનો આભાર માન્યો છે. ભાજપે આ વખતે ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાના જે મોટા દાવાઓ કર્યા હતા તે તમામ દાવાઓ ખોટા પડયા છે અને જનતાએ તેમને સરેરાશ મતો પણ ઓછા આપ્યા છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસે બેઠકો ગુમાવી હોવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને બેઠકો ઓછી મળી છે પરંતુ મતોની ટકાવારી વધી છે. તેમછતાં અમે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન અને માળખુ વધુ મજબૂત બનાવીશું. સોલંકીએ એ મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો કે, ભાજપે આ વખતે રાજયસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં તોડફોડ અને ખરીદફરોશની નીતિ અપનાવી હતી પરંતુ જે બળવાખોર ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા તે ગોધરા બેઠકને બાદ કરતાં તમામ બળવાખોર ધારાસભ્યો હારી ગયા છે અને પ્રજાએ આવા ગદ્દાર લોકોને જાકારો આપ્યો છે તે સ્પષ્ટ થાય છે. ઇવીએમ મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સોંલકીએ જણાવ્યું કે, ઇવીએમને લઇ ગુજરાતની જનતાના મનમાં શંકા અને સવાલો ઉઠયા છે, અન્ય નેતાઓએ પણ ઇવીએમમાં ગડબડીની દહેશત વ્યકત કરી છે ત્યારે ચૂંટણી પંચે લોકોની શંકાનું સમાધાન કરી તેની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવી જોઇએ.
પાછલી પોસ્ટ