એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીના વૃદ્ધિ દરના અંદાજમાં ૦.૩ ટકાનો ઘટાડો કર્યો છે. એડીબીના મતાનુસાર આગામી સમયમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર સાત ટકાને બદલે ૬.૭ ટકા રહેશે.આ માટે ભારતમાં નોટબંધી તેમજ પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસની ધીમી ગતિને જવાબદાર ગણાવી છે. આ ઉપરાંત જીએસટીને લીધે વેપારીઓને પડેલી મુશ્કેલીને પણ કારણભૂત ગણાવવામાં આવી છે. આટલું જ નહીં, માર્ચ ૨૦૧૮થી શરૂ થનાર નાણાકીય વર્ષ માટે ૭.૩ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ આ અંદાજ ૭.૪ ટકા હતો. આ માટે ક્રૂડના ભાવમાં વધારો તથા ખાનગી ક્ષેત્રમાં ધીમા મૂડીરોકાણ જવાબદાર હોવાનું એડીબીએ જણાવ્યું છે.એડીબીના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ધીમો રહ્યો છે. ગત નવેમ્બરમાં લાગુ કરાયેલી નોટબંધીની અસર પણ અર્થતંત્ર પર પડી છે. જીએસટીના અમલ પછી વેપારીઓને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. પ્રતિકૂળ ચોમાસાની ખેત ક્ષેત્ર પર પડેલી અસરને કારણે પણ વૃદ્ધિ દરમાં ઘટાડો કરાયો છે.એડીબીએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાના સૌથી મોટા અર્થતંત્ર ભારતમાં વર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ૬.૩ ટકા રહ્યો છે. જ્યારે અગાઉના ત્રિમાસિક ગાળામાં આ દર ૫.૭ ટકા હતો. એડીબીએ જોકે ૨૦૧૭-૧૮ના બાકીના બે ત્રિમાસિક ગાળામાં જીડીપીના વૃદ્ધિ દરમાં સુધારો થવાની ધારણા કરી છે. જીએસટી અને વેપારીઓને નડતી સમસ્યાઓ અંગે સરકાર સતત સુધારા અમલી બનાવી રહી હોવાથી તેનો લાભ વૃદ્ધિ દરમાં સુધારા તરીકે જોઈ શકાશે.
આગળની પોસ્ટ