પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે પંજાબ રાજ્યના ચકવાલ જિલ્લામાં ઐતિહાસિક કટાસરાજ મંદિરમાંથી ભગવાન રામ અને હનુમાનજીની મૂર્તિઓ ગાયબ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. મંદિરમાં આવેલ પવિત્ર સરોવર સૂકાવવાની બાબતે પણ નિર્ણય લેતા કોર્ટે આ મામલે પણ સુનાવણી કરી હતી. પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે સવાલ કર્યો કે, શું અધિકારીઓ પાસે મૂર્તિઓ છે કે પછી તેમને હટાવવામાં આવી છે. જજ નિસારે મીડિયામાં ચાલી રહેલા મુદ્દે કહ્યું હતું કે, કટાસરાજ સરોવર સૂકાઈ રહ્યું છે, કારણ કે નજીકમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીઓ બોરવેલ દ્વારા જમીનનું પાણી મોટી માત્રામાં ખેંચી રહી છે. જેના કારણે જમીનની નીચેથી પાણીનું સ્તર નીચું જઈ રહ્યું છે. સુનાવણી દરમ્યાન ત્રણ જજની પીઠે મંદિરની આસપાસના વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરીઓને નુકશાનકારક જણાવી હતી અને મંદિરની આસપાસની ફેક્ટરીઓના નામ જણાવવા પણ આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ઑફ પાકિસ્તાને તમામ નીચલી કોર્ટને આ મામલે સુનાવણી ન કરવાનો આદેશ આપ્યો છે.