ઓખી વાવાઝોડાની અસરતળે છેલ્લા એકાદ સપ્તાહથી વલસાડ વિસ્તારમાં બદલાયેલા મોસમના મિજાજના કારણે કેરી, શાકભાજી અને કઠોળ સહિતના ખેતીના પાકોને વ્યા૫ક નૂકશાની ૫હોંચી છે.
વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી બદલાતી ઋતુને લઈને વલસાડના ધરતીપુત્રોએ સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બે દિવસ પહેલા કમોસમી વરસાદ, હાડ થીજવતી ઠંડી અને બાદમાં હવે ગાઢ ધુમ્મસ તેમજ ઝાકળના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગાઢ ધુમ્મસના કારણે આંબા પર આવેલી મંજરીને નુકશાન થયુ છે.ઝાકળ બિંદુઓથી કઠોળમાં તુવેર, વાલને નુકશાન તો દૂધી, કારેલા, ચોળી અને મરચા-રીંગણ જેવા શાકભાજી પાકોને પણ વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. બદલાયેલા વાતાવરણના કારણે થયેલા નુકશાનથી શાકભાજીના ભાવને પણ અસર થશે તેમ મનાય છે.
બીજી તરફ વલસાડ, વાપી, ઉમરગામ, પારડી સહીતના શહેરી વિસ્તારોમાં, ઔદ્યોગિક વસાહતોમાં તેમજ હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાયું હતું જેથી વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અકસ્માતના ડરે વાહન ચાલકો વાહન ચલાવતા ડર અનુંભવતા હતા. જો કે ૧૦ વાગ્યા આસપાસ ધુમ્મસનો ઓછાયો હળવો થયો હતો. પરંતુ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું.
આગળની પોસ્ટ