Aapnu Gujarat
ગુજરાત

ઓખી વાવાઝોડાની ઘાત ટળી : ઘણાં ભાગોમાં વરસાદ

તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી કર્યા બાદ ગુજરાત પર તોળાઇ રહેલુ ઓખી વાવાઝોડાનુ સંકટ આજે ટળી જતા તંત્રને મોટી રાહત થઇ છે. ઓખી વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. તેની ઘાત ટળી ગઇ છે. સુરતથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે ઓખી વિખેરાઇ જતા તંત્રને રાહત થઇ છે. જો કે તેની અસર હેઠળ હજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. સાથે સાથે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી પણ અકબંધ રાખવામાં આવી છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ પણ વધારે હતી. વાવાઝોડુ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૧૫ વર્ષમાં પ્રથમ વખત ડિસેમ્બરના મહિનામાં વરસાદ થયો છે. વાવાઝોડાનની સ્થિતીને પહોંચી વળવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ એવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સાવચેત કરવામાં આવ્યા હતા. ખાસ ઝૂંબેશ હાથ ધરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને લાવવામા સફળતા મળી હતી..આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.દરમિયાન તંત્ર દ્વારા કુલ મળીને ૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવી ચુક્યા છે. આ સાથે જ એનડીઆરએફની ૬ જેટલી ટુકડી તૈનાત કરવામા આવી હતી. બીજી તરફ આ વાવાઝોડાની અમદાવાદ ઉપર થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડને એલર્ટ કરવામા આવ્યુ હતુ. ઉપરાંત તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાવામા આવી હતી. ઓખીની સંભાવનાને પગલે રાજય સરકાર હાઈએલર્ટ હોવાનુ પણ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ.દ્વારા કહેવવામાં આવ્યું હતુ. ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવામા આવેલા પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી હતી.દરિયામાં ગયેલા માછીમારોને તાકિદે પરત બોલાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.ગઇકાલે બપોર સુધીમાં ૧૩,૦૦૦ થી વધુ બોટો માછીમારો સાથે પરત આવી ગઈ હતી. બાકીની બોટ પણ માછીમારો સાથે સાંજ પહેલા પરત આવી જાય એવા પગલા લેવા મુખ્ય સચિવ જે.એન.સિંહ દ્વારા સુચના આપવામાં આવી હતી. રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકસાન ન થાય એ માટે પણ યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા હતા. રાજયમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડમાં કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે.મુખ્ય સચિવ જે.એન.સિંહે નાગરિકોના જાનમાલનુ નુકસાન ન થાય કે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રને સુસજજ રહેવા તાકીદ કરી છે.ઉપરાંત વાવાઝોડા પછી પણ પરિસ્થિતિને તરત સામાન્ય અને પૂર્વવત કરવા વહીવટીતંત્રને તૈયાર રહેવા તેમણે સુચના આપી હતી. આ તરફ ઓખી વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ કરવામા આવ્યા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ કે,અમદાવાદ ફાયરના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાની સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લેવામા આવી છે. સુરતના હજીરા પાસે દરિયામાંથી ગેસ કાઢવાના પાચ બેઝિનનુ કામકાજ તરત જ બંધ કરવામાં આવ્યુ હતુ. સુરત શહેરમાં સતત લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. સુરતના દરિયાકાઠે આવેલા ૨૯ ગામોના ૩૩૬૦ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. ભરૂચ, વલસાજ જિલ્લાના સાત હજાર અગરિયાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.
ઓખી વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાના દરિયાકાઠાના વિસ્તારોમાં માછીમારીની પ્રવૃતિને માઠી અસર થઇ છે. સોમનાથ તીર્થસ્થળ પર શ્રદ્ધાળુઓનવી હાજરી બિલકુલ ઓછી થઇ ગઇ છે.રાજ્યના તમામ બંદરો પર બે અને ત્રણ નંબરના સિગ્નલો હજુ યથાવત રાખવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

દિલ્હીનાં બુરાડીમાં એક ઘરમાં ૧૧ મૃતદેહો મળતાં ચકચાર

aapnugujarat

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

editor

Leave a Comment

UA-96247877-1