રાજયમાં આગામી ૯ તેમજ ૧૪ ડિસેમ્બરના રોજ બે તબકકામા વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે આ પરિસ્થિતિમા સતત વીઆઈપી નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત એવા પોલીસ સ્ટેશનોમાં સામાન્ય નાગરિકો દ્વારા નોંધાવવામા આવી રહેલી ફરિયાદોના નિકાલ માટે પણ સમય મળતો ન હોવાથી લોકોની ફરિયાદોનો નિકાલ થઈ શકતો નથી.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા એક નાગરિકને ત્યાંથી માલમત્તા ઉપરાંત અગત્યના કાગળોની ચોરી થતા તેમના દ્વારા મણિનગર વિસ્તારમા આવેલા પોલીસ સ્ટેશનમાં ગત ૧૬ નવેમ્બરના રોજ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી.પોલીસે આ મામલે એફઆઈઆર તો નોંધી છે પરંતુ પોલીસના કહેવા પ્રમાણે ચૂંટણીના કારણે બંદોબસ્ત એટલો બધો હોય છે કે તેમની પાસે ફરિયાદોના નિકાલ માટે ૧૦ કલાકથી પણ ઓછો સમય મળે છે.બીજી તરફ ફરિયાદી તુષારભાઈ ખત્રીનુ કહેવુ છે કે,તેમના ત્યાંથી સોના-ચાંદીના ઘરેણા કે અન્ય ચીજોની ચોરી થઈ નથી માત્ર લેપટોપ અને બીજી એસેસરીઝની ચોરી થવા પામી છે જેમાં વ્યવસાયની અને બેંકને લગતી વિગતો હોય.આમ છતાં પોલીસ આ મામલે સંવેદનશીલ થઈ તપાસ કરવાને બદલે માત્ર એક જ જવાબ આપે છે કે,હમણા સમય નથી.આમ ચૂંટણી ટાણે મણિનગર સહિત શહેરના ૪૦ પોલીસ સ્ટેશનોમા લોકો દ્વારા કરવામા આવતી ફરિયાદો હાલ માત્ર સ્ટેશન ડાયરી પૂરતી સિમીત રહી જવા પામી છે જયારે પોલીસ નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત છે.