ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ’માસ્ટર બ્લાસ્ટર’ સચીન તેડુલકરની જર્સી ’નંબર ૧૦’ને અનઑફિશિયલ તરીકે બુધવારનાં રોજ રિટાયર જાહેર કરી દીધી છે. આ એ જ જર્સી છે કે જેને પહેરીને લિટલ માસ્ટરે ભારતનાં મેદાનમાં ક્રિકેટની શરૂઆત કરી હતી. સચિન તેંડુલકર જ્યારે ૨૦૧૩માં રિટાયર થયા ત્યારથી તેમની જર્સીને રિટાયર કરવાની વાતો ચાલી રહી હતી.બીસીસીઆઈની આ જાહેરાત બાદ હવે આ નંબર સાથે કોઈ પણ ભારતીય ખિલાડી મેદાન પર રમવા નહીં ઉતરે. સચિન તેંડુલકરે આ જર્સી નંબર સાથે માર્ચ ૨૦૧૨માં પાકિસ્તાન સામે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી. ત્યાર બાદ લગભગ પાંચ વર્ષ સુધી સચિનની આ જર્સી નંબરનો ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈએ પણ ઉપયોગ નહોતો કર્યો. જો કે, બૉર્ડે હજી સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. કેટલાક સમય પહેલા યુવા ક્રિકેટર શાર્દુલ ઠાકુરે શ્રીલંકા વિરુદ્ધની પોતાની ડેબ્યૂ મેચમાં ૧૦ નંબરની જર્સી પહેરીને મેદાન પર ઉતર્યો હતો. સચિનનાં ક્રિકેટ ફેન્સે તેનો ઘણો વિરોધ પણ કર્યો હતો. આ બાબતે શાર્દુલ ઠાકુર અને બોર્ડ બંને સચીનનાં ફેન્સનાં નિશાન પર આવી ગયા હતાં. માસ્ટર બ્લાસ્ટરની જર્સીને રિટાયર કરવા માટે બૉર્ડનાં અધિકારીએ જણાવ્યું કે, આ જર્સીનાં કારણે ઘણાં સમયથી વિવાદો થયા કરે છે.આવા વિવાદોનાં કારણે ખિલાડીઓને પણ ફેન્સની ટીકાઓનો સામનો કરવો પડે છે. તેથી બીસીસીઆઈએ સચીનની જર્સી નંબર ૧૦ને બિનસત્તાવાર રીતે રિટાયર જાહેર કરી દેવું જ હિતાવહ્ છે. હવેથી ૧૦ નંબરની જર્સી કોઈ પણ ખિલાડી નેશનલ, ઈન્ટરનેશનલ કોઈ પણ મેચ દરમિયાન પહેરી શકશે નહીં. બીસીસીઆઈએ આ મહત્વનો નિર્ણય લેતા પહેલા કેટલાક દિગ્ગજ ખિલાડીઓ સાથે પણ ચર્ચા વિચારણાઓ કરી હતી. દરેક ખિલાડી જર્સી નંબર ૧૦ને રિટાયર કરવાનાં નિર્ણયનાં પક્ષમાં જ રહ્યાં હતાં. સચીન તેંડુલકરે ભારતીય ક્રિકેટને ૨૪ વર્ષથી પણ વધુ સમય આપનારા સચીન તેંડુલકર પાસે વર્ષોથી ૧૦ નંબર રહ્યો છે જેનાં પર આગળ પણ બીજા કોઈનો અધિકાર નહીં હોય.