શ્રીલંકા સામે નાગપુર ટેસ્ટમાં ૩૦૦ વિકેટ હાંસલ કરનાર રવિચંદ્રન અશ્વિનને લઇને શ્રીલંકાના પૂર્વ મહાન ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને કહ્યું છે કે, અશ્વિન હાલના સમયમાં દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર છે. ઉલ્લેખનીય છે કે, અશ્વિને નાગપુર ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાને હરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવતા ચાર વિકેટ લીધી હતી. આ સાથે તેણે ૩૦૦ વિકેટ પણ પૂરી કરી હતી. આ મેચમાં અશ્વિને આઠ વિકેટ લીધી હતી.
મુરલીધરને સૌથી ઝડપી ૩૦૦ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિનને શુભકામના પાઠવતા કહ્યું કે, આ એક મોટી સિદ્વિ છે. ૩૦૦ વિકેટ લેવી કોઇ નાની વાત નથી. ચૌક્કસ રીતે તે અત્યારે વિશ્વમાં શ્રેષ્ઠ સ્પિનર છે. મુરલીધરને એમ પણ કહ્યું કે, અશ્વિન અત્યારે વન ડે ટીમમાં નથી પરંતુ, તે જલદી ટીમમાં વાપસી કરીને નાના ફોરર્મેટમાં પણ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને ચકિત કરી દેશે.અશ્વિનના ભવિષ્ય વિશે મુરલીધરને કહ્યું કે, અત્યારે તે ૩૧-૩૨ વર્ષનો છે અને તે ચારથી પાંચ વર્ષ રમી શકે છે. એ સમય પર નિર્ભર કરશે કે તેનો દેખાવ કેવો રહેશે અને કેટલો પોતાને ઇજાથી મુક્ત રાખી શકશે. નોંધપાત્ર છે કે, મુરલીધરને ૧૩૩ ટેસ્ટ મેચમાં ૮૦૦ વિકેટ લીધી છે અને આ વિશ્વ રેકોર્ડ તેના નામે છે.