ઇજિપ્તના સિનાઈ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૮૪ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૧૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજિપ્તના હિંસાગ્રસ્ત ઉત્તરીય સિનાઈ પ્રદેશમાં શુક્રવારની નમાઝ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. નમાઝ દરમિયાન અલઅરિશમાં અલરાવડા મસ્જિદ પર બોંબ ઝિંકવામાં આવ્યા બાદ અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. બોંબ ઝીંકી દેવામાં આવ્યા બાદ બંદૂકધારીઓએ વાહનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. શ્રદ્ધાળુઓ ઉપર પણ ગોળીબાર કર્યો હતો. બ્લાસ્ટ થયા બાદ ઘટનાસ્થળથી ફરાર થવાના પ્રયાસમાં રહેલા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી આ હુમલા માટેની જવાબદારી કોઇપણ સંગઠને સ્વિકારી નથી. આ વિનાશકારી હુમલો ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યા બાદ ઇજિપ્ત સરકારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. પ્રમુખ અબ્દેલે ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી જેમાં આ ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઇજિપ્તના ઉત્તરીય સિનાઇ પ્રદેશમાં વિતેલા વર્ષોમાં પણ અનેક હુમલા કરવામાં આવી ચુક્યા છે. જાન્યુઆરી ૨૦૧૧માં હોસની મુબારકની સરકારને ઉથલાવી દેવામાં આવ્યા બાદથી સતત હુમલા થતા રહ્યા છે. પોલીસ અને સેનાને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. ઇસ્લામિક પૂર્વ પ્રમુખ મોરસીને ૨૦૧૩માં દૂર કરવામાં આવ્યા બાદ સતત હુમલાઓ થતાં રહ્યા છે. જાન્યુઆરી બાદથી ૭૦૦થી વધુ સુરક્ષા જવાનોના મોત થઇ ચુક્યા છે. આ વર્ષે ઇજિપ્તમાં અનેક આતંકવાદી હુમલાઓ થયા છે જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. મે મહિનામાં એક બંદૂકધારીએ બસ ઉપર હુમલો કર્યો હતો જેમાં ૨૮ લોકોના મોત થયા હતા. એપ્રિલ મહિનામાં આત્મઘાતી હુમલો કરાયો હતો જેમાં ૫૦થી વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઇજિપ્તને હંમેશા રક્તપાતથી ગ્રસ્ત તરીકે ગણવામાં આવે છે. નમાઝ અદા કરી રહેલા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. મોતનો આંકડો સતત વધે તેવા સંકેત છે. કારણ કે, ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર છે. ચાર વાહનોમાં આતંકવાદીઓ મસ્જિદની બહાર પહોંચ્યા હતા અને હુમલો કર્યો હતો.