રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા હાર્દિક પટેલ દ્વારા સ્વીકારી લેવાતાં મૂર્ખાઓએ દરખાસ્ત કરી અને મૂર્ખાઓએ સ્વીકારી એ મતલબના આપેલા નિવેદનના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વળતો પ્રહાર કર્યો હતો કે, ભાજપ ડરી ગઇ છે, રઘવાઇ થઇ ગઇ છે અને તેથી અશોભનીય શબ્દો બોલી હતાશા કાઢી રહી છે પરંતુ ગુજરાતની જનતાના આશીર્વાદથી આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. તા.૧૮મી ડિસેમ્બરે કોંગ્રેસનો ત્રિરંગો ગાંધીનગરમાં લહેરાશે તે નક્કી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ ગુજરાતની પ્રજાની સાથે છે. ભાજપ માટે આ વખતે તેના જીવન મરણનો અસ્તિત્વનો સવાલ છે. ગુજરાત ગયુ એટલે દેશ ગયો એ વાત ભાજપના મનમાં પાકી થઇ ગઇ છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનામાં હવે પાંચ વખત ગુજરાતમાં આવે છે. આગામી સમયમાં ભારતની રાજધાની બદલાઇને અમદાવાદ થઇ જાય તો નવાઇ નહી એમ કહી સોલંકીએ હળવો કટાક્ષ પણ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જેડીયુના નેતા છોટુ વસાવા અને તેમની ટીમ સાથે મળી આ વખતે કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. તા.૨૭મી નવેમ્બરે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના દિવસ સુધીમાં તેમના ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. કોંગ્રેસની ફોર્મ્યુલા હાર્દિક પટેલે સ્વીકારતાં અને ભાજપ તરફથી કરાયેલા નિવેદન અંગે સોલંકીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીઓને લઇ ભાજપ ડરી ગઇ છે અને રઘવાઇ થઇ ગઇ છે. ભાજપ જાણી ગઇ છે કે, આ વખતે સત્તાની બાજી તેના હાથમાંથી સરકી ગઇ છે અને તેથી હતાશામાં કોંગ્રેસ પર અશોભનીય અને બિનસંસદીય ભાષામાં ગમે તેવા હીન આક્ષેપો કરી રહી છે.