Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ મુખ્ય માળખાગત ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પીએમજીએસવાય, હાઉસિંગ, કોલસા અને વીજ સહિત મુખ્ય માળખાગત ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ અઢી કલાક ચાલેલી આ સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ), નીતિ આયોગ અને ભારત સરકારનાં માળખાગત મંત્રાલયોનાં ટોચનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નીતિ આયોગનાં સીઈઓએ કરેલ પ્રેઝન્ટેશન દરમિયાન જાણકારી મળી હતી કે, કેટલાંક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધી ૮૧ ટકા લક્ષિત રહેઠાણો આશરે ૧.૪૫ લાખને જોડાણ મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિયત સમયમર્યાદામાં હજુ ન જોડાયેલા રહેઠાણોને જોડવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કામ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ વર્ષ દરમિયાન અસરકારક રીતે થવો જોઈએ. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, કેન્દ્રિય બજેટ રજૂ કરવાની તારીખ આગળ કરવાથી કામગીરીમાં વધુ સુધારો કરવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીને મેરી સડક એપ પર પ્રાપ્ત ફરિયાદોનો ઝડપી નિકાલ કરવાની જાણકારી આપવામાં આવી હતી. એમણે ફરિયાદોનું વિસ્તૃત વિશ્લેષણ કરવા જણાવ્યું હતું, જેથી જરૂર પડે ત્યારે સમયસર પગલાં લઈ શકાય.
વર્ષ ૨૦૧૯ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ૧ કરોડ મકાનોનું નિર્માણ કરવા માટેની યોજનામાં પ્રગતિ કરવાની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓનાં જીવન પર મકાનની સકારાત્મક અસર અનુકૂળ રીતે ચકાસવી પડશે અને તેમાં જીવનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
કોલસાનાં ક્ષેત્રની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ લેટેસ્ટ ટેકનોલોજી ઈનપુટનો ઉપયોગ કરીને ભૂગર્ભ માઈનિંગ અને કોલસાનાં ગેસિફિકેશન તરફ નવેસરથી પ્રયાસો કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીને ગ્રામીણ વીજળીકરણ અને ઘરગથ્થું વીજળીકરણ માટેનાં લક્ષ્યાંકો તરફ થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી હતી.

Related posts

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો

aapnugujarat

છત્તીસગઢમાં નક્સલવાદીના હુમલામાં બે જવાનો શહીદ

aapnugujarat

હિંમત અને બહાદુરીનું પ્રતીક : હેલન કેલર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1