ચૂંટણી પંચે જનતા દળ યુનાઇટેડને મોટો ફટકો આપી દેતા મહત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે જનતા દળ યુનાઇટેડના ચૂંટણી પ્રતિકના મામલાને ઉકેલીને નીતિશકુમારના નેતૃત્વમાં જેડીયુને ચૂંટણી પ્રતિક તીર આપી દેવાનો નિર્ણય કર્યો છે. આની સાથે સાથે ચૂંટણી પંચે છોટુભાઈ અમરસંગ વસાવાની પોતાના ગ્રુપને અસલ જેડીયુ તરીકે ગણવાની અરજીને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છ ેકે, નીતિશકુમારની પાસે ધારાસભ્યોનું જોરદાર સમર્થન છે. ચૂંટણી પંચે આ નિર્ણય કરીને શરદ યાદવની છાવણીને મોટો ફટકો આપી દીધો છે. મહાગઠબંધન તુટી ગયા બાદ બંને જુથમાં ચૂંટણી પ્રતિકને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ અગાઉ જેડીયુના નીતિશકુમારવાળી છાવણીએ સોમવારે ચૂંટણી પંચને મળીને ચૂંટણી પ્રતિકને લઇને વહેલી તકે નિર્ણય કરવા માંગ કરી હતી. શરદ યાદવ જૂથે પણ પ્રતિક ઉપર દાવો કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે પ્રતિકને લઇને લડાઈ તીવ્ર બની ગઈ હતી. જેડીયુ ચુંટણી લડવા ઇચ્છુક છે.