કાશ્મીરમાં હિંસા માટે ત્રાસવાદ સંગઠનો અને હવાલા મારફતે થતી ફંડિંગની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૩૬ કરોડ રૂપિયાની ગેરકાયદે કરન્સી સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડમાં એનઆઈએ દ્વારા જંગી રકમ જપ્ત કરવામાં આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ એનઆઈએ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ધરપકડ કરાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ તપાસ સંસ્થાઓ આ બાબતમાં પણ તપાસ કરી રહી છે કે, આટલી મોટી સંખ્યામાં ચલણથી બહાર થયેલી રકમ તેમન ાસુધી કઈ રીતે પહોચી હતી. અલબત્ત એનઆઈએ અથવા તો અન્ય કોઇપણ તપાસ સંસ્થાએ પુરતી માહિતી આપી નથી. કાશ્મીરમાં હિંસા માટે આતંકવાદી સંગઠનો અને હવાલા મારફતે ફંડિંગની આશંકા બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા તપાસ ચાલી રહી છે. શરૂઆતમાં જ હુર્રિયત નેતાઓ અને કાશ્મીરના મોટા કારોબારીઓના આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ દરમિયાન અલગતાવાદી નેતા સઇદ અલી શાહ ગિલાનીના જમાઈ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ અને એનઆઈએની કાર્યવાહી સામે અલગતાવાદીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને દેખાવો કર્યા હતા. એનઆઈએ ટેરર ફંડિંગ કેસમાં ઝડપથી તપાસ કરી રહી છે. અનેક લોકોને સકંજામાં લેવામાં આવ્યા બાદ તેમની પુછપરછના આધારે વધુ લોકોની ધરપકડ થઇ રહી છે. આગામી દિવસોમાં આ દરોડા અને ધરપકડનો દોર યથાવતરીતે જારી રાખવા માટેની વાત એનઆઈએ તરફથી કરવામાં આવીચુકી છે. ઝડપાયેલા નવ લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરાઈ નથી.