અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમા આવેલી રાજય સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં ૨૧ નવજાત શિશુઓના નિપજેલા મોતના હોબાળાને લઈ સરકારે બનાવેલી કમિટી દ્વારા મરણ પામનારા નવ પૈકી છ બાળકો અધૂરા માસે જન્મ્યા હોવાનુ પ્રાથમિક અહેવાલમા કહ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા ૨૪ કલાકમા નવ જેટલા બાળકોના સિવિલ હોસ્પિટલમા મોત થયાના અહેવાલો બહાર આવતાની સાથે જ રાજય સરકાર તરફથી એક તપાસ કમિટીની રચના કરવામા આવી હતી.
આ કમિટીએ અગાઉ વ્યકત કરવામા આવેલી ધારણા અનુસાર ૨૪ કલાકની અંદર તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રાજય સરકારને આપી દીધો છે.આ રિપોર્ટમાં હોસ્પિટલ અને તેના તબીબોને કલીનચીટ આપવાની સાથે એમ પણ કહેવામા આવ્યુ છે કે,૨૮ મીના રોજ મરણ પામનારા કુલ નવ બાળકો પૈકી છ બાળકો અધુરા માસે જન્મેલા હોવાનુ તપાસમા બહાર આવ્યુ છે.ઉપરાંત ત્રણ બાળકો અન્ય સિવિલ હોસ્પિટલોમાંથી અને બે ખાનગી હોસ્પિટલમાંથી લાવવામા આવ્યા હતા.ચાર અમદાવાદ સિવિલમાં જન્મેલા હતા.કમિટીએ બધા બાળકોને યોગ્ય નિદાન કરીને તેમને તાત્કાલિક સારવાર તંત્ર તરફથી આપવામા આવી હોવાનુ કહ્યુ છે સાથે જ વેન્ટિલેટરની સુવિધા આપવામા આવી હોવાનો પણ અહેવાલમા ઉલ્લેખ કરવામા આવ્યો છે.કમીટીના સભ્યોએ નવજાત શીશુઓના મરણ ગંભીર બીમારી,ઓછા વજનના કારણે અને અધુરા માસે જન્મ હોવાના કારણે થયા હોવાનો અભિપ્રાય આપ્યો છે.સારવાર અને સાધન સામગ્રીમા કોઈ જ ખામી ન હોવાનુ પણ કહેવાયુ છે.