ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાસના નેતાઓ સાથે આજે એક ખૂબ જ મહત્વની બેઠક બંધબારણે યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે પાસના નેતાઓની પાંચ માંગણીઓ પૈકી ચાર માંગણીનો સ્વીકાર કરી લીધો હતો અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. જો કે, અનામત મુદ્દે બંને પક્ષે ગહન ચર્ચા થવા છતાં કોઇ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. અનામતનો મુદ્દો ટેકનીકલ અને બંધારણીય મુદ્દો હોઇ નિષ્ણાત તજજ્ઞોની સલાહ લેવામાં આવશે એમ અત્રે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ અને પાસના નેતા અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું. આ બંને મહાનુભાવોએ કરેલી પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસે પાસના નેતાઓની જે ચાર માંગણીઓ સ્વીકારી છે તેમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા પાટીદાર સમુદાયના લોકો ખાસ કરીને મહિલાઓ, બાળકો પર જે અત્યાચાર થયા તે પ્રકરણમાં કોંગ્રેસની સરકાર આવશે તો, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાશે અને તેના દ્વારા તપાસ કરાવડાવી જે કોઇ કસૂરવાર હશે તે તમામની સામે કાયદાનુસાર કડક કાર્યવાહી કરાશે, આંદોલન દરમ્યાન રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ સહિતના જે કોઇ કેસો હશે તે તમામ કેસો તાત્કાલિક અસરથી પાછા ખેંચાશે, પાટીદાર આંદોલન દરમ્યાન જે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારજનોને રૂ.૩૫ લાખ સુધીની વળતરની સહાય ચૂકવાશે ઉપરાંત, તેમના એક આશ્રિતને શૈક્ષણિક લાયકાતના આધાર પર સરકારી નોકરી આપવામાં આવશે અને વૈધાનિક રીતે સવર્ણ આયોગની રચના કરવામાં આવશે અને સમાજના આર્થિક પછાત પરિવારોના બાળકોને શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર માટે રૂ.૨૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે..આ માંગણીઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને પાસના નેતાઓએ આજની બેઠકને સકારાત્મક અને હકારાત્મક ગણાવી હતી. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, અનામત મુદ્દે બંને પક્ષે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ પરંતુ આ સમગ્ર મામલો બંધારણીય અને ટેકનીકલ હોઇ તેમાં નિષ્ણાત તજજ્ઞોની સલાહ-માર્ગદર્શન લેવા જરૂરી છે, તેથી હાલ પૂરતી તેની પર કોઇ સહમતી સાધી શકાઇ નથી પરંતુ આગામી બે-ત્રણ દિવસમાં અનામતના મુદ્દે વધુ એક બેઠક યોજી ચિત્ર સ્પષ્ટ કરવામાં આવશે તેવી આશા બંને પક્ષે વ્યકત કરવામાં આવી હતી.