શહેરના નારોલ વિસ્તારમાં રેમ્બો હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ગઇકાલે રાત્રે તાર પર સૂકાતા કપડા લેવા જતાં ૨૫ વર્ષીય પરિણિતા સાતમા માળેથી નીચે પટકાતાં તેનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને પગલે એપાર્ટમેન્ટના રહીશો સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, પોલીસે આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ અક્સ્માત મોત છે કે અન્ય બીજુ કોઇ કારણ આ બનાવ પાછળ છે તે દિશામાં પણ તપાસનો દોર જારી રાખ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં રેમ્બો હાઇટ્સના સાતમા માળે એ-૭૦૪ નંબરના ફલેટમાં રહેતા વિજય શર્મા વીમાકંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.
ત્રણ વર્ષ પહેલાં તેમના લગ્ન રૂપાબહેન સાથે થયા હતા. ગઇકાલે રાત્રએ દસ વાગ્યાની આસપાસ રૂપાબહેન બાલ્કનીમાં સૂકવેલા કપડા લેવા ગયા ત્યારે અચાનક તેઓ સાતમા માળેથી નીચે પટકાયા હતા. આટલી ઉંચાઇએથી પડવાથી ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસના માનવા પ્રમાણે, બાલ્કનીમાં ચાર ફુટથી વધુની દિવાલ છે તો રૂપાબહેન જમીન પર કેવી રીતે નીચે પટકાયા તે પ્રશ્ન તપાસનો વિષય છે અને તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં પરિણિતાના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ હતી, તો બીજીબાજુ, લગ્નના ત્રણ વર્ષના જ સમયગાળામાં આ પ્રકારના બનાવથી સ્થાનિક લોકોમાં અનેક તર્કવિતર્ક અને અટકળોએ ભારે જોર પકડયુ હતું.
આગળની પોસ્ટ