અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા બહેરામપુરા વોર્ડમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ રૂપિયા એક કરોડના ખર્ચ સાથે તૈયાર કરવામા આવેલા પાર્કનુ લોકાર્પણ કરવા મામલે સત્તાવાળાઓ દ્વારા સમય ન ફાળવવામા આવતા લોકોએ જાતે જ આ પાર્કનુ ઉદ્દઘાટન કરી નાંખ્યુ હતુ આ સમયે બંધ એવા પાર્કમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા સ્થાનિક રહીશો દ્વારા શાસકોની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવવામા આવ્યો હતો.આ અંગેની વિગત એવી છે કે,શહેરના બહેરામપુરા વોર્ડમાંથી ભાજપની ટિકીટ ઉપર ચૂંટાઈને આવેલા અને છેક મેયર પદે બેઠેલા સ્વ.લાલજીભાઈ પરમારની યાદમાં બહેરામપુરા વોર્ડમાં તેમના જ નામે બનાવવામા આવેલા ઓડિટોરીયમની પાછળના ભાગમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી એક વર્ષ અગાઉ રૂપિયા એક કરોડના ખર્ચ સાથે પાર્ક તૈયાર કરવામા આવ્યો હતો.એક વર્ષથી વધુના સમયથી આ પાર્ક તૈયાર થઈ ગયો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા શાસકો દ્વારા આ પાર્કના લોકાર્પણ માટે સમય ફાળવવામા આવતો ન હતો.દરમિયાન આજે બપોરના બારના સુમારે સ્થાનિક રહીશો એકઠા થયા હતા જ્યાં તેમણે આ મામલે કોર્પોરેટર બદ્દરૂદીન શેખ સમક્ષ રજુઆત કરતા તમામ એકઠા થઈ પાર્ક ખાતે પહોંચ્યા હતા.જ્યાં લોકોએ જ પાર્કનુ લોકાર્પણ કરી નાંખ્યુ હતુ દરમિયાન બંધ એવા પાર્કમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા રહીશોએ શાસકોની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.બીજી તરફ આ મામલે પૂર્વ વિપક્ષ નેતાનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ કે,એક વર્ષ અગાઉ એક કરોડના ખર્ચથી તૈયાર કરવામા આવેલા આ પાર્કનુ નામ પૂર્વ કોર્પોરેટર અલ્લાબક્ષ શેખના નામ સાથે જોડવામા આવ્યુ છે.
પાછલી પોસ્ટ