રતનપોળ વિસ્તારમાં સોના પેટે રૂપિયા દસ હજારની માંગણી કરનાર એક સોની વેપારીને બે દિવસ પહેલાં બીજા સોની વેપારીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં કાલપુર પોલીસે આરોપી જયેશ સોની, તેના ભાઇ ગીરીશ મહાજન અને વિષ્ણુ ઉર્ફે ભોલો મારવાડી એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં સર્જન ટાવર ખાતે રહેતા સુભાષચંદ્ર ધીરજલાલ સોની તેમના પરિવાર સાથે રહે છે અને રતનપોળમાં ગુરૂકુળ ટચ નામથી સોનાના પરીક્ષણના કામકાજ અંગેની દુકાન ધરાવે છે. થોડા દિવસ પહેલાં જ સુભાષચંદ્ર સોનીએ બાપુનગરના જયેશ સોનીને રૂ. દસ હજારનું સોનું ઉધાર આપ્યું હતું. સોનાના આ પૈસા લેવાના બાકી નીકળતા હોઇ અને દિવાળીનો તહેવાર નજીક હોઇ શુક્રવારે જયેશ સોની તેના ભાઇ અને અન્ય શખ્સોને લઇને જયારે તેમની દુકાને આવ્યો ત્યારે સુભાષચંદ્રએ તેની પાસે પોતાના સોના પેટે રૂ.દસ હજારની માંગણી કરી હતી. જો કે, જયેશ સોની પૈસાની ઉઘરાણી થતાં અચાનક ઉશ્કેરાઇ ગયો હતો અને સુભાષચંદ્ર સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. એ દરમ્યાન ઉશ્કેરાઇને જયેશ સોનીએ પોતાની પાસેની છરી વડે સુભાષચંદ્રને સાથળ સહિતના ભાગે ઘા ઝીંકી દીધા હતા. અન્ય આરોપીઓએ પણ તેમને ઢોર માર માર્યો હતો. બાદમાં તેઓ બધા ત્યાંથી નાસી ગયા હતા. બીજીબાજુ, લોહીલુહાણ હાલતમાં સુભાષચંદ્રને તાત્કાલિક સારવાર અર્થે વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે, મોડી રાત્રે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે કાલુપુર પોલીસે આરોપી જયેશ સોની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે દુકાનની આસપાસના સીસીટીવી ફુટેજમાં આરોપીઓના ચહેરા અને તેમના હથિયાર છુપાવતા દ્રશ્યો કેદ થઇ ગયા હોઇ તેના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરીને ે ત્રણ આરોપીેને ઝડપી લીધા હતા.