સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં થયેલા વિનાશકારી બોમ્બ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને આજે ૩૦૦ ઉપર પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. જેથી આ આંકડો વધી શકે છે. ઘાયલ થયેલા લોકો પૈકી પણ કેટલાક ગંભીર છે. સંયુક્ત રાષ્ટ્રે પણ આ હુમલાની ટિકા કરી છે. સોમાિલિયાના પાટનગરમાં સૌથી શક્તિશાળી બ્લાસ્ટ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૭માં અહીં ત્રાસવાદી ઘટનાઓની શરૂઆત થયા બાદથી હજુ સુધીના સૌથી મોટા અને વિનાશક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. કે-૫ ઇન્ટર સેક્શન પર એક હોટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સરકારી ઓફિસો, રેસ્ટોરન્ટ, ટેલિફોન બૂથ અને અનેક ઇમારતો આવેલી છે. બ્લાસ્ટના કારણે વિસ્તારમાં અનેક વાહનોમાં આગ ફાટી નિકળી હતી. બે કલાક બાદ મેદિના જિલ્લામાં વધુ એક બ્લાસ્ટ થયો હતો. પોલીસના કહેવા મુજબ આ બેવડા બ્લાસ્ટમાં મોતનો આંકડો ૩૦૦ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ થયેલાઓની સંખ્યા ૨૦૦થી પણ વધુ આંકવામાં આવી છે. રક્તરંજિત સોમાલિયાના ઇતિહાસમાં આ પ્રકારના બ્લાસ્ટને અલકાયદા સાથે જોડાયેલા અલ સબાબ સંગઠન દ્વારા અંજામ આપવામાં આવ્યા છે. આ સંગઠનનું મોગાદિશુ ઉપર અંકુશ હતું પરંતુ દબાણના કારણે ૨૦૧૧માં તેને કબજાને છોડી દેવાની ફરજ પડી હતી. મોતનો આંકડો વધી શકે છે. ખુબજ ભરચક વિસ્તારને ટાર્ગેટ બનાવીને ટ્રક મારફતે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તો પૈકીના અનેક ગંભીર હોવાથી આને લઇને પણ તંત્ર ચિંતાતુર છે. સોમાલિયાના પ્રમુખ અબ્દુલ્લાહી મોહમ્મદે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી.