પંચમહાલ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો, માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના ૪૪,૭૧૪ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની સાધન સહાય હાથોહાથ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના ૧૦,૩૯૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત રાંધણગેસના જોડાણો સહિત ગેસકીટનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય ઉપસ્થિત મહાનુભાવોના વરદૃ હસ્તે વિતરીત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે સંવેદનશીલ અને પારદર્શક રાજય સરકારે ગરીબોના જીવન ધોરણ ઉંચું લાવવાની સતત ચિંતા કરી છે. વંચિતોના વિકાસને વરેલી પ્રગતિશીલ રાજય સરકારે સમાજના છેવાડાના માનવી સુધી વ્યકિતગત અને સામુદાયિક લાભોને કલ્યાણકારી યોજનાઓ થકી પહોંચાડયા છે. ગ્રામજનો, શહેરીજનો, યુવાનો, મહિલાઓ, વનબંધુઓ, ખેડૂતો, સૌ કોઇનો સમતોલ વિકાસ થાય એ દિશામાં સંવેદનશીલ, પારદર્શક, પ્રગતિશીલ અને નિર્ણાયક રાજય સરકારે જનહિતને લગતા અનેક નિર્ણયો લીધા છે. સરકારે સમાજ ઉત્થાન સાથે પ્રત્યેક વ્યકિતની સમૃધ્ધિની ચિંતા કરી છે. પ્રત્યેક હાથને કામ સાથે ૧૦૮ ની આરોગ્ય સેવા, ગંભીર બિમારીમાં રુ. ૨ લાખ સુધીની મફત સારવાર, સાથે જન સામાન્યના પ્રશ્નોને સ્થળ ઉપર ઉકેલવા સેવાસેતુ જેવા કાર્યક્રમો, ખેતી માટે સિંચાઇની અને પીવા માટે શુધ્ધ પેય જળ તથા ૨૪ કલાક વિજળીની આપૂર્તિ કરી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત દરેક ગામને પાકા અને મજબૂત રસ્તાથી જોડયા છે. શિક્ષણક્ષેત્રે પણ અનેક નિર્ણયો લીધા છે. સામાન્ય પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી ફીની સહાય જેવી અનેક વિધ લાભકારી યોજનાઓના સુફળ જન જન સુધી પહોંચાડયા છે.
પ્રાસંગિક ઉદૃબોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇએ રાજય સરકારે ગરીબી નિવારણ માટે ગરીબ કલ્યાણ મેળાની વિગતો આપતા જણાવ્યુ હતુ કે આજસુધીમાં રાજયમાં ૧૪૫૩ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓમાં એક કરોડ ૧૮ લાખથી વધુ વ્યકિતઓને રાજય સરકારે યોજનાકીય સહાય પુરી પાડી છે. યોજનાઓના પ્રત્યક્ષ અને સીધા લાભો ગરીબના ઘર સુધી પહોંચાડવાનો રાજય સરકારનો આ મહાયજ્ઞ છે.
આ પ્રસંગે અગાઉના ગરીબ કલ્યાણ મેળાથી લાભાન્વિત ગોધરા તાલુકાના પીપળીયા (પૂર્વ) ગામના લાભાર્થી રાજેન્દ્રસિંહ બારીયા અને વિંઝોલ ગામના દિનેશભાઇ વણકરે પોતે મેળવેલા વ્યકિતગત લાભોથી તેમના જીવન-ધોરણમાં થયેલા સુધાર અંગે પ્રતિભાવો આપ્યા હતાં.
ગરીબ કલ્યાણ મેળાનુ શાબ્દિક સ્વાગત જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ કર્યુ હતુ જેમાં તેમણે દિવાળીના શુભ પર્વે જિલ્લાના એકે એક લાભાર્થીઓના ઘરે ખુશીના દિવડાઓ પ્રગટાવવા રાજય સરકારના આ કાર્યક્રમને ખુબજ મહત્વનો ગણાવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ થકી જિલ્લાના સૌ લાભાર્થી આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે તેમ જણાવ્યુ હતું.
જિલ્લાના આ ગરીબ કલ્યાણ મેળામાં ૪૪,૭૧૪ લાભાર્થીઓને રુ. ૭૦.૮૪ કરોડની માતબર સાધન સહાય હાથોહાથ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦,૩૯૧ લાભાર્થી પરિવારોને રાંધણ ગેસના વિના મૂલ્યે જોડાણો મળ્યા છે. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત ૧૮ હજાર ઉપરાંત લાભાર્થીઓને સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં ધારાસભ્ય સર્વ શ્રી અરવિંદસિંહ રાઠોડ,શ્રીમતી નિમિષાબેન સુથાર, ગોધરા નગર પાલિકા પ્રમુખ શ્રીમતી વિદ્યાબેન હરવાણી,જિલ્લા પોલીસ વડા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા,ઘોઘંબા, હાલોલ, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી ફતેસિંહભાઇ ચૌહાણ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, અને ખુબજ વિશાળ સંખ્યામાં ગ્રામિણો અને શહેરીજનો ઉપસ્થિત રહયાં હતાં.
સમગ્ર કાર્યક્રમનુ આભાર દર્શન જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઝવેરીએ કર્યુ હતું.