અમદાવાદ શહેરમા આ વર્ષે જુલાઈ માસમા પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર શહેરના છ ઝોનમા તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે સર્જાયેલો વિવાદ હજુ શમવાનુ નામ ન લેતો હોય એમ રોડ કૌભાંડમા સંડોવાયેલા મોટા માથાઓને બચાવવા માટે રોડના નમુનાની તપાસ પ્રક્રીયાને ધીમી પાડવાની સાથે રિપોર્ટને પણ દબાવવામા આવી રહ્યો હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા આ વર્ષે કુલ મળીને ૪૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં ૩૪ ઈંચ જેટલો થવા પામ્યો હતો.આ ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના તમામ છ ઝોનની અંદર આવેલા મુખ્ય અને આંતરીક રસ્તા એમ કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા હતા.અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ આ બાબતનો મ્યુનિસિપલ બોર્ડ બેઠકમા સ્વીકાર કર્યો હતો.દરમિયાન રોડ કમિટીના ચેરમેન જતીન પટેલે આઈઓસીના બોગસ બીલ પકડીને મ્યુનિસિપલ કમિશનરને સોંપતા તેમણે રોડ કૌભાંડ મામલે વિજિલન્સ તપાસ શરૂ કરાવવાની સાથે ગાંધીનગર ખાતે રોડના નમુના લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા.ગાંધીનગર ખાતે આર એન્ડ બી દ્વારા નિષ્ણાતોની બનાવવામા આવેલી પેનલ દ્વારા તપાસ કરવામા આવતી હોય છે.સત્તાવાર સૂત્રોનુ કહેવુ છે કે,સામાન્ય રીતે રોડના નમુનાની તપાસ સાતથી આઠ દિવસની અંદર પુરી કરી તેનો રિપોર્ટ પણ આપી દેવામા આવતો હોય છે પરંતુ કેમકે અમદાવાદ શહેરમા બહાર આવવા પામેલા રોડ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટના ઈજનેરોથી લઈ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરો આ તમામ સુધી આ રોડ કૌભાંડનો રેલો પહોંચતો હોઈ તપાસની આ સમગ્ર પ્રક્રીયાને ચોકકસ સુચનાને આધારે ધીમી પાડી દેવામા આવી છે આ સાથે જ જે તપાસ પુરી થઈ ગઈ છે તેનો રિપોર્ટ પણ જારી કરવામા વિલંબ કરવામા આવી રહ્યો છે.જો સાચા અર્થમા તપાસ કરવામા આવશે તો અમદાવાદ શહેરમા રૂપિયા ૧૦૦ કરોડથી પણ વધુની રકમનુ કૌભાંડ બહાર આવવા પામી શકે છે.