ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પક્ષપલ્ટા અને રાજકીય સમીકરણો બદલાવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. ચૂંટણી પહેલાં દલિત સમાજની ગુજરાત સરકાર સામેની નારાજગી આજે ત્યારે જાહેરમાં સામે આવી હતી કે, જયારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપાધ્યક્ષ અને જાણીતા દલિત આગેવાન રાકેશ મહેરિયા અન્ય આગેવાનો અને ૨૦૦થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા. આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી કમીટીના અધ્યક્ષ કિશોરભાઇ દેસાઇ સહિતના નેતાઓએ દલિત આગેવાન રાકેશ મહેરિયા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોનું આપમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તમામને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવ્યા હતા. આપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપાધ્યક્ષ અને દલિત આગેવાન રાકેશ મહેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું શોષણ થઇ રહ્યું છે. દલિતો પોતાની જમીનના હક મેળવવા માટે આંદોલનો કરવા મજબૂર બન્યા છે છતાં તેઓને વર્ષો સુધી તેમની જમીનોની ફાળવણી કરાઇ નથી. ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિતો પર દિન પ્રતિદિન જાહેરમાં અત્યાચારો અને જુલમ થઇ રહ્યા છે છતાં સરકાર મૂક પ્રેક્ષક બની જોઇ રહી છે. ભાજપના રાજમાં દલિતોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે અને છતાં સરકાર બધુ જોઇ રહી છે પરંતુ હવે દલિતોએ જાગૃત થવાનો સમય પાકી ગયો છે. આમ આદમી પાર્ટી દલિતોના સાચા હિતનું રાજકારણ કરી રહી છે અને તેથી અમે આપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આગામી ચૂંટણીમાં દલિત વિરોધી ભાજપના શાસનને ઉખેડી ફેંકવા અમે કાર્યરત થઇશું. દલિત આગેવાન રાકેશ મહેરિયા આપમાં જોડાય તે પ્રસંગે આપના ગુજરાત ચૂંટણી કમીટીના અધ્યક્ષ કિશોર દેસાઇ, રાજયના મહામંત્રી રાજેશ પટેલ, મીડિયા પ્રભારી હર્ષિલ નાયક સહિતના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા પ્રભારી હર્ષિલ નાયકે જણાવ્યું હતું કે, રાકેશભાઇના આપમાં જોડાવવાથી આપ ગુજરાતમાં મજબૂત બનશે. ખાસ કરીને આવનારા દિવસોમાં દલિતોને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી સતત લડત આપશે.
પાછલી પોસ્ટ