નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક રાજય સહકાર મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ,ગણદેવી ધારાસભ્ય મંગુભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, કલેકટર રવિ કુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટરાલયના સભાખંડમાં મળી હતી.
રાજય સહકાર મંત્રીએ જિલ્લા આયોજન મંડળના કામોની વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે વર્ષ ૨૦૧પ-૧૬ ના બાકી કામો સંદર્ભે અધિકારીઓને પૃચ્છા કરી હતી. મંત્રીશ્રીએ પ્રજાહિતના કામોમાં વિલંબ ન કરવા અધિકારીઓને તાકીદ કરી, દિવાળી પહેલા કામો પુર્ણ કરવા તાકીદ કરી હતી અને પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પણ આ બાબતે ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં રાજય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર પ્રજાહિતના કામોને પ્રાધાન્ય આપતી હોય છે, ત્યારે અધિકારી/પદાધિકારીઓએ પણ કામો ઝડપભેર પુર્ણ થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી છે. લોકોની સુવિધા બહેતર બને તેવા પ્રયાસો આપણે કરવાના છે.
પ્રભારી મંત્રીએ વિવેકાધિન,પ્રોત્સાહક જોગવાઇ, ધારાસભ્ય ગ્રાંટ, એટીવીટીના કામોની સમીક્ષા કરી હતી.
ગણદેવી ધારાસભ્ય મંગુભાઇ પટેલ અને નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ વર્ષ ૨૦૧૭-૧૮ ના આયોજન સંદર્ભે વહીવટી મંજુરી સંદર્ભે જાણકારી મેળવી હતી.
વર્ષ ૨૦૧પ-૧૬ માં રૂા.૧૪૬૮.૪૪ લાખના ખર્ચે ૮૨૧ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં બાકી કામો પુર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.
કલેકટર રવિ કુમાર અરોરાએ પ્રજાહિતના કામો ઝડપભેર પુર્ણ થાય તે બાબતે તંત્ર પ્રયાસ કરશે, તેમ જણાવ્યું હતું.
જિલ્લા આયોજન અધિકારી કે.બી.થાનકીએ નગરપાલિકાઓ દ્વારા પાંચ વર્ષના તૈયાર કરાયેલા વિકાસના કામોનું પણ પ્રેઝન્ટેશન કર્યું હતું. જયારે વડાપ્રધાનશ્રીના વિઝન-૨૦૨૨ અંતર્ગત નવસારી જિલ્લાના તૈયાર કરાયેલા ન્યુ ઇન્ડિયા મંથન ની પણ જાણકારી આપી હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠક સાથે જિલ્લા આયોજન સમિતિની બેઠક પણ યોજાઇ હતી. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.