મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય આસ્થાના પ્રતિક સાથે લાખો પશુપાલકો માટે આર્થિક ઉપાર્જનનું સાધન છે. ગુજરાતમાં ગીર અને કાંકરેજી ગાયોની નસ્લ સંવર્ધન માટે રાજય સરકારે પ્રત્યેક તાલુકામાં નંદીઘર યોજના અમલી બનાવી છે, તેમ તેમણે ઉમર્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ડેરી ઉદ્યોગના વિકાસમાં સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા બજાવી રહી છે. કરોડો નાના ખેડૂતોને તેમની આજીવિકા ટકાવવામાં સહાય મળી છે. એટલું જ નહીં ખેડૂતોને અર્થપૂર્ણ રોજગારી પુરી પાડી તેમને બજારની નજીક લાવવામાં આવ્યા છે.
આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના બાવનમાં સ્થાપના દિને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંઘ, કેન્દ્રિય કૃષિ રાજયમંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, રાજયમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી, રોહિતભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડેરી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર રાષ્ટ્રીય સ્તરે-૦૬, પ્રાદેશિક સ્તરે-૧૨ એવોર્ડ ઉપરાંત બે મહિલાઓને વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવા સાથે ૧૯ મહિલા દૂધ ઉત્પાદકોનું ડેરી ક્ષેત્રે પ્રશંસાપાત્ર યોગદાન બદલ બહુમાન કર્યું હતું. આ એવોર્ડ ડેરી સહકારી સંસ્થાઓને સંચાલનની ઉત્તમ કામગીરી તથા ખેડૂતોનું મૂલ્ય તથા જાતિય સમાવેશતાની કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ એન.ડી.ડી.બી. દ્વારા તૈયાર કરાયેલ ગીર ગાય પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. જયારે કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી રાધા મોહન સિંઘે એન.ડી.ડી.બી.ના ઓટોમેટિક મિલ્ક કલોરીન સિસ્ટમ (AMCS) સોફટવેરનું લોન્ચીંગ કર્યું હતું. કેન્દ્રિય કૃષિ રાજય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ભારતીય ઓલાદો તથા જીમોનીક સિલેકશન માટેની મધ્યમ ઘનતા ધરાવતી જીનોટાઇપીંગ ઇન્ડુસચીપનું વિમોચન કર્યું હતું.