મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છાત્રશક્તિને રાષ્ટ્રશક્તિ બનીને ભારત માતાની શાખ-પ્રતિષ્ઠા જગદગુરૂ બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ ધરાવતા આપણા દેશમાં નયા ભારતના ભાવિનું નિર્માણ આ યુવા પેઢીના શકિત સામર્થ્યથી કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે સંકલ્પ કર્યો છે તે ડિઝીટલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા સ્ટેન્ડ અપ ઇન્ડીયાથી આપણે સાકાર કરવો છે.
મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’ હેકાથોનનું લોન્ચીંગ તેમજ શિક્ષણ સંસ્થાઓ-યુનિવર્સિટીઓમાં ન્યૂ એવન્યૂઝ ઓફ મોર્ડન એજ્યુકેશન-ન.મો. થ્રુ વાઇ-ફાઇનું પણ ૧૧૦ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ પૈકી ર૩માં પ્રતિકરૂપ લોન્ચીંગ કરાવ્યું હતું. તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અન્વયે ૧૧ યુનિવર્સિટીઓ સહિત ર૩ સંસ્થાઓને ૪૪૦ લાખની ગ્રાન્ટ-સહાયના ચેક તેમજ સમર ઇનોવેશન ચેલેન્જના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પ્રજાના પ્રશ્નો માત્ર સરકાર જ ઉકેલે-સોલ્વ કરે તે માઇન્ડ સેટ બદલાયો છે. યુવાનો પણ હવે ટેકનોલોજીના માધ્યમથી આવા પ્રશ્નો પર ચિંતન-મનન કરીને તેના સચોટ નિવારણ-ઉપાયો ઇનોવેટીવ આઇડીયાઝ દ્વારા આપી શકે છે. આ માટે હેકાથોનનો જે નવતર પ્રયોગ શરૂ થયો છે તે આવનારા દિવસોમાં પ્રજાના ઇન્વોલ્વમેન્ટથી સોલ્યુશન-સૂચનોના અમલની નવી દિશાથી નયા ભારત અને દેશ બદલ રહા હૈને સાકાર કરશે.
તેમણે ઉમેર્યુ કે, આઝાદીના સાત-સાત દાયકા સુધી પ્રજાના અનેક પ્રશ્નો પડતર રહ્યા હોય તેવી સ્થિતિ આપણે દૂર કરવી છે. ટેકનોલોજીનો ઉપયોગ અને યુવાશક્તિના નવિન વિચારો-નવા ઉમંગોથી તેનું સોલ્યુશન્સ આવી સ્પર્ધાઓથી લાવવું છે.
ગુજરાતમાં આ હેકાથોનમાં ર૦૬ જેટલા પ્રોબ્લેમ્સની યાદી મળી છે તેનું સમાધાન યુવાનો પોતાના આગવા બુદ્ધિ કૌશલ્યથી કરશે તેમ જણાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, બુદ્ધિ પર કોઇનો ય ઠેકો નથી. ગરીબ-તવંગર, ઊંચ-નીચના ભેદ વિના સૌ બુદ્ધિના બળે આગળ આવે અને પોતાનું સામર્થ્ય પૂરવાર કરે છે.