અમદાવાદ શહેરમા વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમા મચ્છરજન્ય રોગચાળાની પરિસ્થિતિ બેકાબૂ બનતી જોવા મળી છે.અમદાવાદ શહેરમા આ માસમાં ૨૩ દિવસની અંદર જ મચ્છરજન્ય એવા મેલેરીયા તેમજ ઝેરી મેલેરીયાના કુલ મળીને ૧૧૦૦ ઉપરાંત કેસ સપાટી ઉપર આવવા પામ્યા છે.આ સાથે જ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાએ પણ માથુ ઉચક્યુ છે. શહેરમા પ્રદૂષિત પાણીને લઈને ઝાડા ઉલ્ટીના ૨૩ દિવસમા ૩૭૪ કેસ નોંધાઈ ગયા છે જે ગત વર્ષ કરતા પણ વધી જવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમા આ વર્ષે પડેલા ૪૧ ઈંચથી પણ વધુ વરસાદ બાદ હવે વરસાદ પડવાના કોઈ સંકેત ન હોવાનુ હવામાન વિભાગ દ્વારા કહેવામા આવ્યુ છે આ પરિસ્થિતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે કરવામા આવી રહેલી કામગીરીનો મોટા પાયે પ્રચાર અને પ્રસાર કરવામા આવી રહ્યો છે ત્યારે બીજી તરફ દિવા તળે અંધારુ એ કહેવત મુજબ,અમદાવાદ શહેરમા આ માસની શરૂઆતથી ૨૩ દિવસની અંદર જ મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કુલ મળીને ૧૧૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામ્યા છે.જેમા મેલેરીયાના કુલ મળીને ૮૫૫ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૮૩ કેસનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરમા એક તરફ કાર્યવાહી કરવામા આવી રહી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમા ઠેર-ઠેર જોવા મળી રહેલી ગંદકી અને કચરાના ઢગલાને કારણે આ વખતે એડિસ ઈજીપ્તી મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો વહેલો જોવા મળ્યો છે આ કારણથી અમદાવાદ શહેરમા આ માસથી ૨૩ દિવસની અંદર જ ડેન્ગ્યુના કુલ મળીને ૮૨ જેટલા કેસ નોંધાઈ ગયા છે.સાથે જ ચીકકનગુનીયાના પણ ચાર કેસ નોંધાઈ ગયા છે.આ આંકડામા હજુ ખાનગી પ્રેકટિસનરો અને હોસ્પિટલોમા સારવાર લઈ રહેલા દર્દીઓના આંકડા જો ઉમેરવામા આવે તો આ આંક હજુ વધી શકે એમ છે.અમદાવાદ શહેરમા પાણીજન્ય એવા ઝાડા ઉલ્ટીના પણ ૨૩ દિવસમા ૩૭૪ કેસ નોંધાયા છે ગત વર્ષે આખા સપ્ટેમ્બર માસમા ૩૬૩ કેસ નોંધાવા પામ્યા હતા.આ ઉપરાંત કમળાના ૨૩ દિવસમા ૨૧૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.તો આ સાથે જ ટાઈફોઈડના કુલ ૧૮૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.