નરોડા ગામ કેસમાં સાક્ષીઓની તપાસનો તબક્કો પૂરો થયા બાદ આજથી દલીલોના મહત્વના તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં સરકારપક્ષ તરફથી એફઆઇઆર, બનાવ સહિતની વિગતો કોર્ટ રૂબરૂ વાંચી સંભળાવવામાં આવી હતી, કોર્ટે પણ મહત્વની દલીલ અને મુદ્દાઓની નોંધ કરી હતી. બીજીબાજુ, નરોડા ગામના બનાવસ્થળની મુલાકાત એટલે કે, લોકલ ઇન્સ્પેકશન માટે સરકારપક્ષ દ્વારા અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. જેથી આવતીકાલે સીટના તપાસનીશ અધિકારી હિમાંશુ શુકલા પણ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ હાજર રહે તેવી સંભાવના છે. નરોડા ગામ કેસમાં રાજય સરકાર તરફથી મહત્વની દલીલ કરતાં જણાવાયું હતું કે, નરોડા ગામ કેસમાં કુલ ૮૬ આરોપીઓ હતા, જેમાંથી એક આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી તેને બિનતહોમત મુકત કર્યો હતો. જયારે કેસના ટ્રાયલ દરમ્યાન ૧૦ જેટલા આરોપીઓ ગુજરી ગયા છે. આમ કુલ ૭૫ આરોપીઓ વિરૂધ્ધ ટ્રાયલની કાર્યવાહી હાલ ચાલી રહી છે. બચાવપક્ષના અને પ્રોસીકયુશન પક્ષના તમામ સાક્ષીઓની સરતપાસ અને ઉલટતપાસનો તબક્કો પણ પૂર્ણ થઇ ગયો છે. આ કેસમાં કુલ ૧૮૭ જેટલા સાક્ષીઓ છે. નરોડા ગામ કેસમાં તપાસનીશ એજન્સી દ્વારા જુદા જુદા સમયે મુખ્ય ચાર્જશીટ અને અન્ય પૂરવણી ચાર્જશીટો આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. કેસની ગંભીરતા અને સંવેદનશીલતા કોર્ટે ધ્યાને લેવી જોઇએ. દરમ્યાન સરકારપક્ષ તરફથી એક અરજી આપી કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, કેસના ચુકાદા પહેલાં અને દલીલોનો તબક્કો પૂર્ણ થાય તે પહેલાં કોર્ટે નરોડા ગામના બનાવવાળા સ્થળની મુલાકાત લેવી જોઇએ અને ગુના વખતની સર્જાયેલી ભયંકર પરિસ્થિતિનો જાત ચિતાર મેળવવો જોઇએ કે જેથી અદાલતને સમગ્ર કેસની ગંભીરતા અને મહત્વના મુદ્દાઓનો વાસ્તવિક ખ્યાલ આવી શકે. આ અરજી પરની સુનાવણી કોર્ટે આવતીકાલે રાખી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ