કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તા.૨૫મી સપ્ટેમ્બરે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી ત્રણ દિવસની તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન પાટીદારોના ખોડલધામની પણ મુલાકાત લશે.
રાહુલ ગાંધીની મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને જોશ પ્રવર્તી રહ્યો છે. રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે આયોજનના ભાગરૂપે ભરતસિંહ સોલંકી આજે પાટણ જિલ્લા સહિતના કેટલાક સ્થળોની મુલાકાતે પણ ગયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૨૫, ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા.૨૫મીએ સવારે રાહુલ ગાંધી દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી પ્રચારનો બીજો તબક્કો શરૂ કરશે અને લોકો સાથે સીધોે સંવાદ કરશે. રાહુલ ગાંધી સામાન્ય લોકો સાથે ભોજન પણ લેશે. ત્યાંથી તેઓ જામનગર જવા રવાના થશે. તેઓ કોંગ્રેસ અગ્રણીઓ સાથે લોકોને મળતા મળતા બાય રોડ જશે અને જામનગરમાં રોડ શો કરશે. ત્યારપછી રાજકોટની મુલાકાતનું આયોજન છે અને ત્યાં પણ રાહુલ ગાંધીના ભવ્ય રોડ શો યોજાશે. રાહુલ ગાંધી પાટીદારોના ખોડલધામની મુલાકાત લે તેવી પણ શકયતા છે, જયાં રાહુલ ગાંધી પાટીદાર નેતાઓ સાથે વાર્તાલાપ કરશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ