વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની નિંદા કરીને પાકિસ્તાન ઉપર આકરા પ્રહારો કર્યા છે. ઉત્તર કોરિયાએ હાલમાં જ અનેક મિસાઇલ પરીક્ષણ કર્યા હતા જેના કારણે કોરિયન દ્વિપમાં તંગદિલી વધી ગઈ છે. આવી સ્થિતિમાં ન્યુયોર્કમાં યુએન બેઠકમાં પહોંચેલા સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની જોરદાર ઝાટકણી કાઢી હતી. આ ગાળા દરમિયાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, ઉત્તર કોરિયાના પ્રલિફરેશન લિંકેજની તપાસ થવી જોઇએ. અમેરિકા અને જાપાનના વિદેશ મંત્રીઓની સાથે વાતચીત દરમિયાન ઉત્તર કોરિયાના ઉશ્કેરણીજનક કાર્યવાહીની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. લાંબા સમયથી માનવામાં આવે છે કે, પાકિસ્તાને જ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવામાં મદદ કરી છે.
કેટલાક લોકો તો આને સાબિત કરવાના દાવા પણ કરે છે. વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે, વિદેશમંત્રીએ ઉત્તર કોરિયાના હાલના પગલાની નિંદા કરી છે અને કહ્યું છે કે, તેના હથિયાર ફેલાવવાની તપાસ થવી જોઇએ. આમાં સામેલ થયેલા શખ્સો સામે કાર્યવાહી થવી જોઇએ. એક પછી એક અમેરિકી વહીવટીતંત્રને સીઆઈએના ઇનપુટથી પાકિસ્તાન અને ઉત્તર કોરિયાના પરમાણુ સંબંધમાં માહિતી મળી હતી. અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ગણવામાં આવે છે. કાદિરે ૨૦૦૪માં કબૂલાત કરી હતી કે, તેઓએ ઉત્તર કોરિયાની જ નહીં બલ્કે ઇરાન અને લિબિયામાં પણ પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત મહત્વની માહિતી આપી હતી. થોડાક દિવસ પહેલા પાકિસ્તાનમાં પરમાણુ ભૌતિક વિજ્ઞાનના નિષ્ણાત હુડબોયે જર્મનીના મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઉચ્ચ સ્તરે મોટા અપરાધો થયા છે.