તા.૨૦-૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ આંતરરાષ્ટ્રીયકક્ષાનો એક કાર્યક્રમ ‘‘ઇન્ડિયા કેમ ગુજરાત-૨૦૧૭’’ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમનું ઉદધાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રીશ્રી અનંતકુમાર તથા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે થશે.
દેશ આંતરરાષ્ટ્રીયકક્ષાએ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સનું હબ બની રહેલ છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૩% થી ૧૪% ના દરે વિકાસ કરી રહેલ છે. દેશમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના કુલ ઉત્પાદનમાં ગુજરાનો હિસ્સો ૩૫% જેટલો છે ત્યારે આ પ્રકારનું આયોજન ગુજરાતના ઉદ્યોગોને વધારાનું બળ પુરુ પાડશે. આ ઇવેન્ટમાં ૧૫૦ થી વધારે એકસીબીટર્સ, બાયર્સ-સેલર્સ મીટ, ગ્રીન કેમિસ્ટ્રી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ઉત્પાદન માટે સેશન્સ, રાઉન્ડ ટેબલ ડીસકશન, મેક ઇન ઇન્ડિયા પેવેલીયન, સ્ટેટ પેવેલીયન્સ અને જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન્સ પેવેલીયનનું આયોજન કરેલ છે. આ ઇવેન્ટમાં વિવિધ રાજયો અને અનેક દેશનાં ઉદ્યોગપતિઓ હિસ્સો લઇ રહેલ છે.
ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય દ્વારા પ્રથમ વાર જ ‘‘ઇન્ડીયા કેમ ગુજરાત -૨૦૧૭’’નું આયોજન ગુજરાતના આંગણે કરવામાં આવી રહેલ છે ત્યારે આ મંત્રાલયનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ છે કે, ‘‘આ પ્રકારના કાર્યક્રમ ગુજરાતના આંગણે આયોજીત થવા તે અતિ આનંદની વાત છે. આવા કાર્યક્રમમાં વૈશ્વિક કક્ષાના લોકો અને કંપની ભાગ લેતી હોય છે. જેથી દુનિયાની અદ્યતન ટેકનોલોજી, વૈશ્વિક સફળ ઉદ્યોગ પ્રેકટીસ, અવનવા સંશોધનો અને ભવિષ્યની તકો જોવા-જાણવા અને શિખવાનો ઉત્તમ અવસર હોય છે. આવા આયોજનના માધ્યમથી ભવિષ્યનાં યુવા સાહસિકો તૈયાર કરવાની તક મળતી હોઇ છે. અગાઉ આવા કાર્યક્રમો દિલ્હી, મુંબઇ કે બેંગલુરૂ જેવા શહેરોમાં જ આયોજીત થતા, હવે ગુજરાતમાં જ થઇ રહયા છે ત્યારે યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, MSME તમામને જોવા-જાણવા અને શિખવાની તક પ્રદાન થઇ રહી છે. ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા આવા કાર્યક્રમો ગુજરાતમાં યોજાવા માટે આભાર પણ માનું છું.’’