ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ શહેર સહિત રાજયભરમાં ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે હવે પાસના કન્વીનર હાર્દિક પટેલ પાસના આગેવાનો સાથે સોમનાથ યાત્રાએ નીકળ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કરી હાર્દિક પટેલ ગુજરાતમાંથી ભાજપની જુલ્મી સરકારને હટાવવાના સંકલ્પ સાથે સમગ્ર પાટીદાર સમાજને હાકલ કરશે. આજે સવારે ૧૮૨ જેટલી ગાડીઓમાં વિશાળ સમૂહમાં પાસના આગેવાનો સાથે નીકળેલા પાસના નેતા હાર્દિક પટેલ તા.૧૬મીએ સોમનાથ પહોંચશે. પાટણના મારામારીના કેસમાં તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ અનામતની તેની જૂની માંગ અને અન્યાય સામેની લડત વધુ મજબૂત અને આક્રમક બનાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે પાસના કન્વીનરોની મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી હતી. પાટીદાર સમાજને જાગૃત કરવાના કાર્યક્રમના ભાગરૂપે પાસના નેતા હાર્દિક પટેલ જુદી જુદી ૧૮૨ ગાડીઓમાં પાસના આગેવાનો અને કાર્યકરો સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે આજે વહેલી સવારે નીકળ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન બાદ ભાજપને ગુજરાતમાંથી નાબૂદ કરવાના સંકલ્પનો શંખનાદ ફુંકાશે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના કાર્યક્રમો દરમ્યાન પાટીદાર આગેવાનો દ્વારા થઇ રહેલા વિરોધ પ્રદર્શન તો હજુ શરૂઆત છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ગુજરાતભરમાં પાટીદાર યુવાનો ભાજપના કાર્યક્રમોનો જોરશોરથી વિરોધ કરી અનામતનો અવાજ બુલંદ બનાવશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના નેજા હેઠળ પાટીદાર સમાજ ગુજરાતમાં ભાજપની જુલ્મી સરકારને હટાવવાના સંકલ્પ સાથે આગામી દિવસોમાં રાજયની તમામ ૧૮૨ બેઠકોના મતવિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી પાટીદાર સમાજને જાગૃત કરશે અને ભાજપ વિરોધી મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરશે.