ઉત્તરાખંડના મહામંડલેશ્વર અવધૂતબાબા અરૂણગીરીજી પોતાની ટેમ્પો ટ્રાવેલ બેલ્ટી વાન લઇને વડનગર જઇ રહ્યા હતા ત્યારે શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં તેમની વાનને પંચર પડયું હતું એ દરમ્યાન એક ગઠિયો વાનમાં મહામંડલેશ્વરના પડેલા પર્સને સેરવી રફુચક્કર થઇ ગયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, પર્સમાં મહામંડલેશ્વરના પાંચ લાખ રૂપિયા રોકડા, રૂ.૭૫ હજારની કિંમતની સોનાની બે ચેઇન, ત્રણ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ હતો, જે ગઠિયો પળવારમાં ચોરી જતાં મહામંડલેશ્વરે નરોડા પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આવેલા આશ્રમના મહામંડલેશ્વર અવધૂતબાબા અરૂણગીરીજી મહારાજ ઋષિકેશથી તેમના વડનગર ખાતે તા.૧૭મી સપ્ટેમ્બરના કાર્યક્રમ માટે તેમની ટેમ્પો ટ્રાવેલ બેલ્ટી વાનમાં જઇ રહ્યા હતા ત્યારે અમદાવાદમાં હોર્ડીંગ્સ લેવા માટે રોકાયા હતા અને હોર્ડીંગ્સ લઇ વાનમાં નીકળ્યા ત્યારે નરોડા પાટિયા પાસે તેમની વાનમાં પંચર પડયું હતું. જેથી વાનમાં પંચર થાય ત્યાં સુધી અવધૂતબાબા તથા તેમની સાથેના અનુયાયી અને ડ્રાઇવર નજીકના મેડિકલ સ્ટોર આગળ ઉભા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ગઠિયાએ વાનમાં પડેલું મહામંડલેશ્વરનું પર્સ ચોરી કરીને પળવારમાં પલાયન થઇ ગયો હતો. પર્સમાં પાંચ લાખ રૂપિયા રોકડા, રૂ.૭૫ હજારની કિંમતની સોનાની બે ચેઇન, આઇફોન સહિત ત્રણ મોબાઇલ ફોન, પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ્સ હતા. પંચર થયા બાદ મહામંડલેશ્વર અને અનુયાયીઓ જયારે વાનમાં બેઠા તો ખબર પડી કે, તેમનું પર્સ ન હતું. તેમને ખ્યાલ આવી ગયો કે, પર્સ ચોરાઇ ગયું છે. મહામંડલેશ્વર અવધૂતબાબાએ આ સમગ્ર બનાવ અંગે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આગળની પોસ્ટ