વિન્ડીઝ ક્રિકેટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરનું કહેવું છે કે ડેરેન બ્રાવો અને ક્રિસ ગેલ સિવાય કોઈ અન્ય ક્રિકેટરને ટેસ્ટ ક્રિકેટમાં રસ નથી અને આથી જ આવા ક્રિકેટરને ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી શ્રેણી માટે ટીમમાં બોલાવવા યોગ્ય નથી.
જેસને કહ્યું કે ટેસ્ટ ટીમમાં હાલ વિન્ડીઝ પાસે ઘણા સારા ખેલાડી છે અને આ જ કારણે મોટા નામવાળા ખેલાડીઓની હાલ જરૂર નથી.
એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ ટીમ માટે બ્રાવો અને ગેલ ઉપરાંત સુનીલ નરૈન, કિરોન પોલાર્ડને પણ ટીમમાં સામેલ કરાય તેવી શક્યતા છે.
કેપ્ટન હોલ્ડરે જોકે એ અફવાઓનો પૂર્ણવિરામ મૂકતા કહ્યું, ”બ્રાવો અને ગેલ સિવાય મને નથી લાગતું કે અન્ય કોઈ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટ રમવામાં રસ હોય. આ બંને સિવાય અન્ય કોઈ ખેલાડી પર ટેસ્ટમાં રમવા દબાણ કરવું જોઈએ નહીં.”
હોલ્ડરના જણાવ્યા અનુસાર ગેલે કહ્યું છે કે જો તે સંપૂર્ણપણે ફિટ રહેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં જરૂર રમવા ઇચ્છશે. હોલ્ડરે કહ્યું, ”થોડા સમય પહેલાં મારે ગેલ સાથે વાત થઈ હતી. તેણે ફિટ રહેવાની સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમારે ગેલ જેવા ક્રિકેટરની જરૂર છે. મને સારું લાગશે કે જ્યારે તે ખુદને ટેસ્ટ ક્રિકેટ માટે ઉપલબ્ધ સમજશે. મારી ટીમમાં હજુ ઘણા સુધારાની જરૂર છે અને આ સ્થિતિમાં નિયમિત રૂપથી સારી પ્રતિસ્પર્ધા બનાવી રાખવા માટે મારી ટીમને લાંબી સફર કરવાની છે.”