ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ સહિતના નેતાઓની બેઠકનો દોર આજે પણ પ્રદેશ કોંગ્રેસ ઇલેકશન કમીટીના હોદ્દેદારો સાથે ચાલ્યો હતો. સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન બાલાસાહેબ થોરાટ પ્રદેશ કોંગ્રેસ ઇલેકશન કમીટીના હોદ્દેદારોને વન ટુ વન મળ્યા હતા અને તેઓની પાસેથી ઉમેદવારોની પસંદગીના મુદ્દે મહત્વના સૂચનો અને ભલામણો જાણ્યા હતા. આ સાથે જ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓને લઇ તેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ અને વેગવંતી બનાવી છે. ગઇકાલે કોંગ્રેસના પક્ષની સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સહિતના આગેવાનો સાથે ઉમેદવારો, પસંદગીના ધારાધોરણો સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસના ઉમદવારોની પસંદગીની સત્તાવાર પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ હતી. જેમાં શહેરી વિસ્તારોના કોંગ્રેસના ઉમેદવારોની જલ્દી પસંગી થાય તેવી અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારનો તબક્કો હાથ પર લેવાવાની શકયતા વ્યકત થઇ હતી. બેઠકમાં કયા ઉમેદવારોને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવી અને કોને ટિકિટ ના આપવી તેના પસંદગીના ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં બે વખત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોય તેવા ઉમેદવારો, ૭૦ વર્ષથી વધુની વયના ઉમેદવારો અને ૨૦ હજારથી વધુ મતોથી હારેલા ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ નહી આપવાનું નક્કી કરાયું હતું. જયારે બીજીબાજુ, પક્ષ માટે સો ટકા જીતી શકે તેવા ઉમેદવારોને પછી ભલે તેમાં પાયાનો કાર્યકર જ ના હોય પરંતુ તેને ટિકિટ આપવી જોઇએ તેવો સૂર પણ વ્યકત થયો હતો. દરમ્યાન આજે પણ સ્ક્રીનીંગ કમીટીના નેતાઓ પ્રદેશ ઇલેકશન કમીટીના ચેરમેન ભરતસિંહ સોલંકી સહિતના હોદ્દેદારોને વન ટુ વન મળ્યા હતા અને તેઓની પાસેથી ઉમેદવારોની પસંદગીના મુદ્દે મહત્વના સૂચનો અને ભલામણો જાણ્યા હતા. બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ કેટલાક જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી હતી અને આ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. આવતીકાલે ગેહલોત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો સાથે ચર્ચા કરે તેવી શકયતા છે.
પાછલી પોસ્ટ