વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંજો એબેની અમદાવાદ અને ગાંધીનગરની ઐતિહાસિક મુલાકાતને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ સંપૂર્ણ લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આશરે ૧૫૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. વીવીઆઈપી વિસ્તારોને ૧૦ ઝોનમાં વિભાજિત કરીને સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી રહી છે. બંને નેતાઓ માટે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સુરક્ષા માટે ૧૫૦૦૦થી વધુ પોલીસ જવાનો, અધિકારીઓ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨૦૦થી વધારે ગુજરાત પોલીસ એકેડેમીના કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે જે રોડ મેનેજમેન્ટ માટેની જવાબદારી સંભાળશે. ડીજી, જીઆઈજી, એસપી, ડીવાયએસપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. ચેતક કમાન્ડો, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોંબ સ્કોડ, અન્ય સુરક્ષા જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. મોદી અને શિંજો એબનો કાફલો જે વિસ્તારમાંથી પસાર થનાર છે તે તમામ વિસ્તાર તરફ દોરી જતાં માર્ગો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. આ રસ્તાઓને થોડાક સમય માટે બંધ પણ રાખવામાં આવશે. ગ્રાન્ડ રિહર્સલની પ્રક્રિયા હાલ કરાઈ હતી.