આસામના પાંચ જિલ્લામાં નવેસરના પુરના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે. રાજ્યના પાંચ જિલ્લાના આશરે ૭૨૦૦૦ લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાક વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યુ છે કે દેમાજી, લખીમપુર, સોનિતપુર, મોરીગાવ અને નાગાવ જિલ્માં પુરની માઠી અસર થઇ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના અધિકારીઓ તેમના કાફલા સાથે ફસાયેલા લોકોને સુરક્ષિત ખસેડી લેવાની પ્રક્રિયામાં લાગી ગયા છે. એનડીઆરએફે કહ્યુ છે કે સતત ભારે વરસાદના કારણે જરાસર નદીમાં પાણીની સપાટી ચિંતાજનકરીતે વધી રહી છે. સોનિતપુર જિલ્લામાં ભારે પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. એનડીઆરએફની પહેલી બટાલિયન દ્વારા સોનિતપુર જિલ્લાના કેટલાક ગામોમાં અટવાયેલા લોકોને અન્યત્ર ખસેડી લીધા છે. એનડીઆરએફની આઠ ટીમો હાલમાં સક્રિય રીતે લાગેલી છે. આ ટીમમાં ૩૨ બોટ અને જીવનરક્ષણ સહાયની ચીજો રહેલી છે. મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે રાજ્યના જળ સંશાધન વિકાસ પ્રધાનને સુચના આપી છે.
વિનાશકારી પુરના નવેસરના રાઉન્ડના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા અને માહિતી મેળવી લેવા તેમને કહેવામાં આવ્યુ છે. સાથે સાથે રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવા માટે પણ તેમને કહેવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં આ વર્ષે પુરના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ગયા છે. મોતનો આંકડો સેંકડોમાં પહેલાથી જ નોંધાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.