શહેરના મકરબા ખાતે પોલીસ હેડકવાર્ટર વિસ્તારમાંથી કોઇ અજાણ્યા શખ્સની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી જરૂરી તપાસ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે મરનાર વ્યકિત કોણ છે, કયાંનો રહેવાસી છે અને કયા સંજોગોમાં તેની લાશ અહીં આવી, તેની હત્યા થઇ છે કે તેણે આત્મહત્યા કરી છે તે સહિતના સવાલોના જવાબો શોધવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એસજી હાઇવે પર મકરબા પોલીસ હેડકવાર્ટર વિસ્તારમાંથી કોઇ અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, ઘટનાસ્થળે લાશની હાલત જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી કારણ કે, લાશ આખી કોહવાઇ ગઇ હતી અને ભયંકર દુર્ગંધ મારતી હતી. તીવ્ર દુર્ગંધ મારવાના કારણે પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફને મોં પર રૂમાલ બાંધી ઘટનાસ્થળે તપાસ અને ચેકીંગ કરવાની ફરજ પડી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ એક મહિના જૂનો હોવાનું જણાઇ રહ્યું છે, જેના કારણે તે અત્યંત કોહવાઇ ગયો અને વિકૃત થઇ ગયો હોવાનું પણ જણાયું છે.પોલીસે આ સમગ્ર મામલામાં એફએસએલના અધિકારીઓની મદદ પણ લીધી છે. જો કે, મરનાર કોણ છે અને કયાંનો રહેવાસી છે તેમ જ તેની લાશ અહીં કયા સંજોગોમાં આવી તે સહિતના સવાલોના જવાબ પોલીસને મળ્યા નથી અને તેથી આ દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે. જો કે, આજની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવવા સાથે અનેક તર્ક-વિતર્કો સર્જયા હતા.