હાઇકોર્ટે દિલ્હીની ૯૮ ખાનગી સ્કૂલોને વસૂલવામાં આવેલી ૭૫% વધારાની ફી પરત કરવાનો આદેશ કર્યો છે. બુધવારે કોર્ટે કહ્યું કે આ ફી ૧૦ દિવસની અંદર કેશ/એફડીઆર/બેંક ગેરંટી દ્વારા રજિસ્ટ્રાર પાસે જમા કરાવવાની રહેશે.૧૮ ઓગસ્ટે કેજરીવાલે કહ્યું, ૪૪૯ સ્કૂલો અનિલ દેવ સિંહની કમિટીની ભલામણો નથી માની રહી. અમે તેમની મનમાની સહન નહીં કરીએ. જો પેરેન્ટ્સ પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી પરત નહીં કરવામાં આવે તો એવી સ્કૂલોને ટેકઓવર કરીશું. પાછલી સરકારોએ ઢીલ કરી, પરંતુ હવે તેમ નહીં થાય. જો ખાનગી સ્કૂલો માતા-પિતાને લૂંટશે તો તેવું અમે નહીં થવા દઇએ.અમારી સરકાર શિક્ષણને અભિન્ન અંગ માને છે. ખાનગી સ્કૂલોમાં પૈસાવાળા બાળકો ભણે છે, જ્યારે સરકારીમાં ગરીબોના બાળકો. અમે આ અંતર ઓછું કર્યું છે. અમે સરકારી એજ્યુકેશન સિસ્ટમને સારી બનાવી છે. હવે લોકો બાળકોને ખાનગી સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં મોકલી રહ્યા છે. આ જ અમારી સફળતા છે.ઘણા ખાનગી સ્કૂલો સારું શિક્ષણ આપે છે, પરંતુ કેટલી સ્કૂલો મનમાની કરીને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. અમે અપીલ કરીએ છીએ કે અનિલદેવ સિંહની કમિટીની ભલામણો લાગુ કરો. જો તેમ નહીં કરો તો અમે સ્કૂલોને ટેકઓવર કરીશું. વધારાની ફી પરત થઇ કે નહીં તે માટે દિલ્હીની તમામ સ્કૂલોના અકાઉન્ટ ચેક કરવામાં આવશે.”ખાનગી સ્કૂલોમાં મનમાની ફી વસૂલવા પર લગામ કસવા માટે દિલ્હી હાઇકોર્ટે ગયા વર્ષે જસ્ટિસ અનિલદેવ સિંહ કમિટી બનાવી હતી. કમિટીએ દિલ્હીની કુલ ૧૧૦૮ ખાનગી સ્કૂલો પર રિપોર્ટ તૈયાર કર્યો. તેના પ્રમાણે, ૫૪૪ સ્કૂલોએ એક્સ્ટ્રા ફી વસૂલી હતી. કમિટીએ સ્કૂલોને વધારાની ફી વ્યાજ સાથે પરત કરવા અને ઇન્સ્પેક્શનની ભલામણ કરી છે.