બેટી બચાવો અભિયાન માટે બાઇક લઇને દેશની ૧૦,૦૦૦ કિ.મી.ની યાત્રાએ નીકળેલા હરિયાણાના રેવાડી ગામના યુવકને કાશ્મીરના કટ્ટરપંથીઓનો કડવો અનુભવ થયો હતો. કટ્ટરપંથી ટોળું આ યુવક અને તેના સાથીને ઘેરી વળ્યા હતા અને ઢોર માર માર્યો હતો. કારણ એ હતુ કે બાઇક પર તિરંગો ઝંડો લગાવ્યો હતો. આજે આ યુવક વિવિધ રાજ્યોમાંથી પસાર થઇને વડોદરા આવી પહોંચ્યો હતો. આ યુવકનું નામ છે રાજેશ શર્મા, તે રેવાડીમાં ફ્રુટ જ્યુસની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને ધો.૧૨માં ભણતો પુત્ર છે. રાજેશે કહ્યુ હતુ કે એક પુત્ર પછી પુત્રીનો જન્મ થયો હતો પરંતુ જન્મના ૩૬ કલાકમાં તે મૃત્યુ પામી હતી, તે પછી અમે અનાથ આશ્રમ અને સંબંધીઓમાંથી એક દીકરી દતક લેવાના ખુબ પ્રયત્ન કર્યા પણ શક્ય ના બન્યુ. એક દિવસ મારી પત્નીએ મને કહ્યુ કે આખા દેશની દીકરીઓ આપણી દીકરીઓ છે અને તેમના માટે તમે દેશભરમાં અભિયાન શરૂ કરો અને મે સન ૨૦૦૯થી આ અભિયાન શરૂ કર્યુ. હું દર વર્ષે દોઢ મહિના માટે બાઇક લઇને દેશના વિવિધ રાજ્યોમાં નીકળી જઉં છુ અને ૯થી ૧૦ હજાર કિ.મી.નો પ્રવાસ કરીને વિવિધ શહેરાની સ્કૂલ, કોલેજો, હોસ્પિટલોમાં જઇને તથા લોકોને મળીને બેટી બચાવ માટે વિનંતી કરું છુ અને કહું છું કે ‘બેટી બચાવો વર્ના બહુ કહા સે લાઓગે’ તેમણે ઉમેર્યુ હતુ કે ’આ વખતે મે મારી યાત્રાનો રૂટ નોર્થથી વેસ્ટ રાખ્યો છે એટલે હરીયાણાથી જમ્મુ, શ્રીનગર થઇને કારગીલ, લેહ, ખારડુંગલા અને પેંગોંગ લેક સુધી ગયો અને ત્યાથી મનાલી, ચંદીગઢ થઇને રાજસ્થાનમાંથી ગુજરાત આવ્યો છુ અહીંથી મુંબઇ પહોંચીશ જ્યા આ વખતની યાત્રાનો અંત થશે. આ યાત્રા દરમિયાન કાશ્મીરમાં મારા જીવનુ જોખમ થઇ ગયું હતું. શ્રીનગરથી આગળ બનીહાલમાં કટ્ટરપંથી ટોળાએ મારી બાઇક રોકી હતી અને ’બાઇક પર યે ઝંડા (તિરંગા ઝંડા) ક્યું લગાયા હે, હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એસા ક્યુ લીખા હે’ કહીને મને તથા મારા સાથીદારને ટોળાએ ઘેરીને ખૂબ માર માર્યો હતો. ટોળામાં મહિલાઓ પણ હતી અને પુરુષો પણ ના બોલે તેવી ગંદી ગાળો બોલીને અમને મારતી હતી. અમે હાથ જોડી પગ પકડયા અને ઝંડાને બાઇક પરથી કાઢીને બેગમાં મુકાવ્યા પછી જ અમને છોડયા હતા. શ્રીનગરમાં પણ અમારી પાસેથી ઝંડા ઉતારી લેવડાવ્યા હતા’