Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

કારણ નં. ૪ :- ભેદભાવભર્યો વ્યવહાર

મારા રાજીનામાંને એ કારણ સાથે સીધો સંબંધ છે. મંત્રીમંડળમાં જે તે વિદેશી સમિતિ, સુરક્ષા સમિતિ દ્વારા, સંરક્ષણને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય છે. એ જ રીતે વિદેશને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો વિદેશ કમિટી દ્વારા નક્કી થાય છે. ઉપરોક્ત બંને કમિટિમાંથી હું એકનો સભ્ય ન હોવા છતાં, લોખંડી પડદા પાછળ કામ કરતી એ સમિતિઓના કાર્યની જવાબદારી સામુહિક રીતે મંત્રીમંડળની રહે છે. આ પરિસ્થિતિ મારે માટે અસહ્ય છે. અગાઉના રાજીનામું આપી ગયેલા પ્રધાનોએ આ બાબતે પણ આવી જ ફરિયાદ કરી હતી.

કારણ નં. ૫ :- હિંદુ કોડ બિલ

જેનાથી મને રાજીનામું આપવાની ફરજ પડી છે તે હિંદુ કોડ બિલ અને તે બિલ સાથે કરવામાં આવેલો વ્યવહાર, સૌપ્રથમ ૧૧ એપ્રિલ ૧૯૪૮માં બિલને લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચાર વર્ષ પછી બિલની હત્યા થઈ પરંતુ એના પર કોઈએ ચાર આંસુ ન સાર્યા.
લોકસભામાં રજુ થયેલ બિલની ગંભીરતા સરકારને સમજાઈ નહીં અને આખરે એને સિલેક્શન કમિટીને સોંપ્યું. ૧૨ ઓગસ્ટ, ૧૯૪૮માં કમિટિએ તેનો રિપોર્ટ લોકસભામાં રજુ કર્યો ૧૯૪૮ની ૩૧મી ઑગસ્ટે તેના પર વિચાર કરવાનો પ્રસ્તાવ ન રજુ થયો પરંતુ સળંગ સત્રમાં તેના પર કોઈ ચર્ચા થઈ નહીં. આમ જોઈએ તો બિલ પર ચર્ચા દસ મહિના ચાલી જેમાં ફેબ્રુઆરીના ચાર દિવસ, માર્ચનો એક દિવસ, એપ્રિલના બે દિવસ અને ડિસેમ્બરના બે દિવસ ! સિલેક્શન કમિટીએ રજુ કરેલાં રિપોર્ટ પર જ ચર્ચા થઈ. મારા પોતાના મુદ્દાઓ ઉપર કશું ધ્યાન અપાયું નહીં. ૧૯૫૦માં બિલ માટે એક દિવસ પણ ફાળવ્યો નહીં. ફક્ત ૧૯૫૧ની પાંચમી ફેબ્રુઆરીએ બિલ ફરી લોકસભામાં રજુ થયું, તેની પર ચર્ચા કરવા તારીખ ૫, ૬ અને ૭ ફેબ્રુઆરી નક્કી થઈ.
પાર્લામેન્ટની છેલ્લી બેઠકમાં મંત્રીમંડળે સર્વાનુમતે નિર્ણય લીધો કે બિલને ચાલુ પાર્લામેન્ટમાં જ પસાર કરવું કારણ તે છેલ્લી બેઠક હતી અને એ માટે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૧ નક્કી થઈ. ચર્ચા ચાલુ થતાં જ પ્રધાનમંત્રીએ કહ્યું. ‘આપણી પાસે સમય થોડો છે. એટલે બેકાર ચર્ચામાં સમય બગાડવા કરતાં બિલના અમુક અમુક હિસ્સાને કાનુની સ્વરૂપ આપવામાં આવે તે વધુ ઈષ્ટ ગણાશે. ‘પ્રધાનમંત્રીના આ વર્તનથી સંસ્કૃતયુક્તિ યાદ આવી કે ‘જ્યારે સર્વનાશ જ દેખાય ત્યારે ડાહ્યા માણસે જે મળે તેનાથી સંતોષ માનવો.’ અને હું ન છૂટકે સહમત થયો. લગ્ન અને છૂટાછેડાવાળા વિભાગને પ્રથમ કાનુની સ્વરૂપ આપવાનું મેં સૂચન કર્યું. ત્રણ દિવસ એના પર ઉત્સાહ વગરની વિચારણા થઈ ત્યાં ચોથા દિવસે પ્રધાનમંત્રીએ નવો પ્રસ્તાવ રજુ કર્યો કે, ‘ગૃહમાં બીજા અગત્યનાં કામ ઘણાં છે. આપણી પાસે સમય થોડો છે તો બિલને સંપૂર્ણપણે છોડી દેવું એ યોગ્ય લેખાશે.’ પ્રધાનમંત્રીનો આ પ્રસ્તાવ મારે માટે વ્રજઘાત સમાન હતો. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો.’
મંત્રીમંડળના બીજા સભ્યો તેમનાં બિલોની પ્રાથમિકતા માટે દબાણ કરતા હતા. તે પછી મને એ વાતનું આશ્ચર્ય થયું કે પ્રેસબિલ બનારસ વિશ્વ વિદ્યાલય અને અલીગઢ વિશ્વ વિદ્યાલયના બિલને હિંદુ કોડ બિલ પહેલાં અગ્રીમતા અપાઈ ગઈ ! બંને યુનિવર્સિટીના બિલ થોડાં મોડાં હાથ પર લેવાયા હોત તો કાંઈ તે યુનિવર્સિટી બંધ પડવાની નહોતી. ઉપરોક્ત પ્રસંગથી મને લાગ્યું કે, પ્રધાનમંત્રીની વાણી અને વર્તનમાં સચ્ચાઈ નથી. જો તેમણે ધાર્યું હોત તો આખું હિંદુ કોડ બિલ અવશ્ય પસાર થાત.
આ બિલને કારણે અપાર માનસિક ત્રાસ થયો છે. પક્ષના નેતાએ એવી જાહેરાત કરી કે, પક્ષનો દરેક સભ્ય બિલ ઉપર તેનો સ્વતંત્ર મત આપે. પરિણામે દેખીતું જ છે કે, પક્ષનો મને બિલકુલ સહકાર ન મળ્યો. સ્વતંત્ર મતને નામે ભાષણબાજી થઈ, તેને કોણ રોકે ? આખરે મારે કહેવું પડ્યું કે મહેરબાની કરી ચર્ચા બંધ કરો, એથી કાંઈ વળવાનું નથી. હું જાણું છું કે તમારો સહકાર મને મળવાનો નથી જ. ‘વડાપ્રધાન ચર્ચા સમયે ગેરહાજર રહેતા હતા, તે તેમની ફરજ ચૂકી ગયા હતા.’
વળી એક નવું કારણ આપવામાં આવે છે કે, વિરોધ પક્ષના પ્રબળ વિરોધને કારણે બિલ પડતું મૂકવું પડ્યું. હકીકતમાં તો પક્ષના ૧૨૦ સભ્યોમાંથી ફક્ત ૨૦ સભ્યો જ વિરોધ કર્યો હતો. બિલની ચોથી ધારા એ તો હિંદુ કોડ બિલનો પ્રાણ હતો. એને પાર્ટીની બહુમતીનું ર્સમર્થન પણ સાંપડ્યું હતું. છતાં સમયના અભાવે બિલને છોડી દેવું એવાં પ્રધાનમંત્રીના ઉપરોક્ત વર્તન અને તેમના નિર્ણયે એ સાબિત કરી આપ્યું કે, કોણ કોનો મિત્ર અને કોણ શત્રુ છે.’
મારા રાજીનામાના દરેક મુદ્દાને મેં ખૂબજ વિસ્તારથી ચર્ચ્યા છે. કારણ કેટલાક લોકો હેતપૂર્વક એવો ગંદો અને ગલીચ પ્રચાર કરે છે કે ‘હું બીમાર છું, મારી તબીયત કામ કરી શકે તેમ નથી. એટલે મેં રાજીનામું આપ્યું. સૌ જાણે છે કે ફરજપાલન આગળ મારું સ્વાસ્થ્ય કદી આડે આવતું નથી.’

વહેલાં રાજીનામું કેમ ન આપ્યું ?

કોઈ કહેશે કે સરકારની વિદેશનીતિ અને પછાત જાતિ પ્રત્યેની નીતિથી તમોને સંતોષ નહોતો તો શા માટે વહેલા રાજીનામું ન આપ્યું ! હા, એકંદરે વાત તો કાંઈક સાચી છે. પણ સૌ જાણે છે કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી ભારતીય બંધારણના કામોમાં હું એવો ગળાડૂબ હતો કે મને શ્વાસ લેવાનીએ ફુરસદ નહોતી. મારી સંપૂર્ણ તાકાત સંવિધાનને પૂરું કરવામાં મેં લગાવી હતી. તે પછી હિંદુ મહિલા મુક્તિ માટે, હિંદુ સમાજને એક કાયદાની સંહિતામાં સાંકળવાની તેની એકતાને મજબુત બનાવવાની કાર્યવાહી એટલે કે હિંદુ કોડ બિલમાં મારો સમય ગયો. તમે જ કહો, બંધારણ અને હિંદુ કોડ બિલ જેવાં અતિ ગંભીર કામો છોડીને મારે મંત્રી મંડળમાંથી નીકળી જવું તે કેટલું યોગ્ય ગણાય ?
હિંદુ કોડ બિલના હિતમાં મારે મંત્રીમંડળમાં સભ્ય તરીકે ચાલુ રહેવું ખૂબ જ જરૂરી હતું. હિંદુ કોડ બિલ એ હિંદુ સમાજના સુધારા માટે શ્રેષ્ઠ બિલ હતું. વર્ગ-વર્ગ વચ્ચે અને સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતાને આજદિન સુધી કોઈએ હાથ લગાડ્યો નહોતો. એવી જ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનો કાયદો હતો. આમ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ સાથે મારે અનેક મતભેદ હોવા છતાં હિંદુ કોડ બિલ તથા ગરીબજનોના આર્થિક કલ્યાણ ખાતર અનેક અપમાનો સહેતો હું મંત્રીમંડળમાં ચાલુ રહ્યો હતો તે સત્ય હકીકત છે.
૨૮ નવેમ્બર ૧૯૪૯ના રોજ વડાપ્રધાન નહેરૂએ મને ખાતરી આપતાં લખેલું, મોટી વાત એ છે કે સરકાર આ બિલ પાસ કરવા વચનબદ્ધ છે. એથી એ બિલને લઈને આગળ વધશે અને તેને કાયદાનું સ્વરૂપ આપશે, પરંતુ સરકાર કોઈ અગત્યનો કાયદો બનાવવા માટે અને પાર્લામેન્ટ તેને જરૂરી સહકાર ન આપે તો ?
તો હું માનું છું કે, તે સમયે સરકારે રાજીનામું આપી દેવું અને તે પછીની અનુગામી સરકારે તે મહત્વના પ્રશ્નને વહેલી તકે કાયદાનું સ્વરૂપ આપવું.’
ત્રણ મહિના પછી પાછા વિચારો બદલ્યા. વળી પાછા સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ પ્રધાનમંત્રીએ કહ્યું : ‘આપણને આ બિલ પર ચર્ચા કરાવનો, વિચારવાનો સંપૂર્ણપણે સમય ન મળે ત્યાં સુધી તેને સ્થગિત કરીએ. હું આશા રાખું છું કે, ભવિષ્યમાં એવો અવસર જરૂર આવશે.’
ઉપરોક્ત વિરોધાભાસી બંને નિવેદનોથી આપ જોઈ શકશો કે વડાપ્રધાનની વાણી અને વર્તન કેટલાં ભિન્ન છે. આ સ્થિતિમાં મારા હૃદયની સચ્ચાઈને ખાતર પણ મારે રાજીનામું આપ્યા સિવાય છૂટકો નહોતો,. મારે મારી જાત પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. અને તે રાજીનામું આપવાથી જ શક્ય બની શકે તેમ હતું. ’અંતમાં મંત્રી મંડળના સાથી મિત્રોના સૌજન્યભર્યા વહેવાર બદલ હું તેમના સર્વનો આભાર માનુ છું. સાથે સાથે સંસદ સભ્યોનો પણ આભાર માનુ છું કારણ કે તેઓ સૌએ મારા પ્રત્યે ઘણી સહૃદયતા બતાવી છે.’
પાર્લામેન્ટરી પ્રથા પ્રમાણે તા.૧૧-૧૦-૧૯૫૧ના દિવસે પાર્લામેન્ટમાં રાજીનામાનું પોતાનું પ્રવચન કરવા ઉભા થયા પરંતુ સ્પીકરે તેમને રોક્યા. ડૉ. આંબેડકરે ખુલાસો કર્યો ત્યાં તો સ્પીકરે સંબોધન કર્યું, ‘માનનીય મંત્રીશ્રી’ આવેશમાં ડૉ. આંબેડકરે કહ્યું, ‘હવે હું મંત્રી નથી.’ અને તુરંત પોતાના કાગળોને સંકેલી ‘વોક આઉટ’ કરી ગયા.
વિરોધ પક્ષોના નેતાઓએ ડૉ. આંબેડકરને ભારે હર્ષધ્વનિથી વધાવી લીધા. પત્રકારોને પોતાના રાજીનામાની વિગતો આપી પરત આવી વિરોધ પક્ષની પાટલીએ બેઠા. પુનઃવિરોધ પક્ષોએ આ વિભૂતિને વધાવી લીધી. સમગ્ર સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો.
બીજા દિવસે દેશ-વિદેશના અખબારોએ ડૉ. આંબેડકરની સેવાઓ બિરદાવી સરકારે તેમને પાર્લામેન્ટમાં નિવેદન કરવા ન દીધું. તે બાબતની પણ કડક આલોચના કરી. ‘નવશક્તિ’ દૈનિકે લખ્યું કે, ‘આંબેડકરને અન્યાય….નહેરૂ પ્રધાનમંડળ ઉપર ભીમ પ્રહાર….’ વિવિધવૃત્તમાં લખ્યું કે, ‘ડૉ. આંબેડકરનું અપમાન’ આયંગરનો લંગડો બચાવ. લંડનના ઈંગ્લેન્ડના માંચેસ્ટર ગાર્ડિયને તેના ૧૨-૧૦-૧૯૫ના અંકમાં અગ્રલેખ પ્રસિદ્ધ કરી ડૉ. આંબેડકરની સેવાઓને બિરદાવી તેમને થયેલ અન્યાયની ઝાટકણી કાઢી હતી. ડૉ. આંબેડકરના અભિગમને લોકશાહીયુક્ત દર્શાવ્યો હતો. આ પ્રમાણે ડૉ. આંબેડકર સતત પ્રવૃત્તિમય જ રહ્યા. વિરોધ પક્ષમાં થોડો સમય બેઠા, સંવિધાન સમર્પણ સમયે પ્રશંસા કરતા ઠાકુરદાસ ભાર્ગવે ડૉ. આંબેડકરને કૉંગ્રેસમાં જોડાઈ સમગ્ર રાષ્ટ્રના નેતા બનવાનું ને રાષ્ટ્રની સેવાનું ઈજન આપ્યું હતું કારણ કે કોંગ્રેસી નેતાઓના હૃદયમાં તેમને માટે નિશ્ચિત સ્થાન નિર્માણ થયું હતું પરંતુ ડૉ. આંબેડકરને કોંગ્રેસ કે ગાંધીનીતિ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નહોતી. જોકે ૧૯૩૩માં ડૉ. મુંજેએ પણ તેમને હિંદુ મહાસભાના અધ્યક્ષપદની ઓફર કરી જ હતી જેનો પણ તેમણે ઈન્કાર કર્યો હોત, ૧૯૫૨ની પ્રજાસત્તાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનને સુસજ્જ કરી ‘હાથી’ પ્રતિક સાથે ચૂંટણીના મેદાનમાં આવ્યા. તા.૭-૧૧-૧૯૫૧ના દિવસે પટણામાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ જોડે વાટાઘાટો કરી સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ જોડે વાટાઘાટો કરી સમાજવાદી પક્ષ અને શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન વચ્ચે ચૂંટણી સમજૂતી કરી. તેમણે મુંબઈમાંથી લોકસભાની ચૂંટણી માટે ઝંપલાવ્યું. કોંગ્રેસ તરફથી બુવાજી સોનગાંવકર નામના મહાર આગેવાનને ડૉ. આંબેડકર સામે ઉભા રહેવા આદેશ થયો. સોનગાંવકર પોતાના દેવ (ડૉ. આંબેડકર) સામે ઊભા રહેવાની સાફ ના પાડી. અંતે ચાંભાર જાતિના બાબુ જગનજીવનરામના સહકાર્યકર નારણરાવ સાદોબા કાજરોલકર ઊભા રહ્યાં. કાજરોલકરની ઉમેદવારી જાહેર થતાં મુંબઈના એક દૈનિકે વ્યંગચિત્ર પ્રસિદ્ધ કર્યું. જેનામાં ડૉ. આંબેડકરને ઊભા, ભવ્ય પ્રતિભાવાળા મોટા કદના વ્યક્તિ દર્શાવલી જ્યારે તેમના પગ પાસેના બૂટ ઘણાં જ વિશાળ બનાવ્યા તેમજ વિશાળ બૂટની મોટી એડી પાસે વામણા સ્વરૂપે નારાયણરાવ કાજરોલકરને મૂક્યા. વળી. કાજરોલકર અપરાધી ભાવ સાથે ઊભા ઊભા વિનંતી કરતા હોય તેવું દૃશ્ય મૂક્યું હતું. ખરેખર વ્યંગચિત્રકારે વાસ્તવિક વાત કરી હતી.
(ડૉ. બાબાસાહેબચ્યાં સહવાસાંત મરાઠી ડૉ. સવિત આંબેડકર, મુંબઈ પૃ.૨૧૫)
આ કોંગ્રેસી ઉમેદવાર નારાયણરાવ સાદોબા કાજરોલકર ૧,૩૭,૩૫૦ મતો મેળવી વિજયી થયા જ્યારે ૧,૨૩,૫૭૬ મત મેળવનાર ડૉ. આંબેડકરનો કારમો પરાજય થયો. દોષપૂર્ણ ચૂંટણી પ્રથાએ તથા સામ્યવાદી નેતા ડાંગેએ અનામત બેઠકના મત ૩૯,૧૬૫ પોતાને અપાવી વેડફાવી ડૉ. આંબેડકરને ઈરાદાપૂર્વક હરાવ્યા હતા. ‘સામ્યવાદ’ એ દગો છે’ (Communism is fraud) એ તેમનું કથન હતું. (કીર – પૃ.૩૮૯) આ બાબતે ડૉ. આંબેડકર અને અશોક મહેતાએ કોર્ટમાં રિટ પિટીશન પણ કરી હતી. ૧૯૫૪માં ભંડારાની (વિદર્ભ)ની લોકસભાની પેટાચૂંટણીમાં પુનઃ ઝંપલાવ્યું પંરતુ કોંગ્રેસી ભાઉરાઉ બોરકર ૧,૪૦,૮૬૪ અને ડૉ. આંબેડકરને ૧,૩૨,૮૪૩ મત મળતાં પુનઃ ૮૩,૮૦૨ મતે પરાજય થયો. જોકે હાથી કદાચ બેસી જાય તો પણ ઘેટાં બકરાં કરતાં તો ઊંચો જ લાગવાનો ! ‘બિચારા બોરકરો – કાજરોલકરોને ક્યાંથી સમજાય કે તેમનાં કારણે રાષ્ટ્રનું દલિત સમાજનું કેટલું અહિત થયું ?’ મુંબઈની ચોપાટી પરની દલિતોની વિશાળ સભાને સંબોધતા દલિતોના મસીહાએ કહ્યું.
‘મને પ્રભુ ઈસુના પેલા શબ્દો અત્યારે આવે છે. પ્રભુ ઈસુને ફાંસીના વધસ્તંભ ઉપર ચઢાવી ખીલા ઠોકનાર માટે પ્રભુ ઈસુએ કહ્યું હતું કે, હે પ્રભુ આ લોકોને તું ક્ષમા આપજે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.’
ડૉ. આંબેડકરના લોકસભામાં ન જવાથી રાષ્ટ્રને પદદલિતોને પારાવાર નુકસાન થયું છે તેવા મતલબના તંત્રીલેખ નવશક્તિ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વિવિધવૃત્તિ ઈત્યાદિ દૈનિકોએ લખી તેમની યોગ્યતાને ‘એકમેવા દ્વિતીયમ’ કહી બિરદાવી હતી. ચૂંટણીમાં આચાર્ય જે.બી.કૃપલાણી અને અન્ય કેટલાંક આગેવાનો સામે ઉમેદવાર ઊભો ન રાખવાની જે ઉદારતા કોંગ્રેસે દાખવી હતી તે ડૉ. આંબેડકર માટે દાખવી ન શકી. બંને માટેના અલગ માપદંડ તેમની જાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ છે. આ દેશની ખૂબીછે, કે તે માંડ માંડ કદાચ કચવાતા મને ‘ભારત રત્ન’ આપેલ છે. પરંતુ ‘નોબલ પ્રાઈઝ’ માટે સાફ ના પાડે છે.
अपूज्या यत्र पूजयन्त पूज्यश्वैव निरादर ।
तहितंत्र भविष्यन्ति दुर्मिंक्षे मरण मयं ।।
ભંડારા ચૂંટણીના પરાજયના પરિણામો તેમને રંગુનની વિશ્વ બૌદ્ધ પરિષદમાં સ્થિતપ્રજ્ઞાભાવે સાંભળ્યા હતાં. જોકે ડિસેમ્બર ૧૯૫૦માં પણ તેમણે શ્રીલંકાની વિશ્વબૌદ્ધ પરિષદમાં ઉપસ્થિત રહી ઉદ્‌બોધન કરી, બૌદ્ધ નેતા તરીકેનું બિરૂદ તો હાંસલ કરી દીધું હતું. મુંબઈ રાજ્યના (વિધાનસભા) વિરોધ પક્ષે માર્ચ, ૧૯૫૨માં ડૉ. આંબેડકરને ‘રાજ્યસભા’ માટે ચૂંટી ક્ષતિ સુધારવાની વૃત્તિ દાખવી હતી. રાજ્યસભામાં પણ ડૉ. આંબેડકર રાષ્ટ્રના વિવિધ પ્રસ્નો વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં જ હતા. પંડિત નહેરૂ તે સમયે ‘ભારત-ચીની ભાઈભાઈના’ ભ્રમમાં રાચતા હતા. દૃષ્ટિવંત ડૉ. આંબેડકરે રાજ્યસભામાં પણ રાષ્ટ્રની સમસ્યાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા નહેરૂને ચેતવ્યા હતાં.
તા.૨૬-૮-૧૯૪૫ના દિવસે રાજ્યસભામાં તેમણે ભારતની વિદેશ નીતિની આલોચના કરતાં આર્ષવાણી ઉચ્ચારી ‘ભારતનાં સુરક્ષિત ભાવિ’ના સંદર્ભમાં કહ્યું કે,
‘ભારત ઉપર આક્રમણનાં એંધાણ મને સ્પષ્ટ દેખાય છે. વડાપ્રધાનશ્રી નહેરૂએ ચીની સામ્યવાદી સરકારને તિબેટ લેવાનો પરવાનો આપ્યો છે. તિબેટ ઉપર ચીનનું વાલીપણું સ્વીકારી વડાપ્રધાનશ્રી નહેરૂએ ભયંકર ભૂલ કરી છે. ચીનને લ્હાસા (તિબેટ) લેવામાં સગવડ કરી આપવી એટલે ચીનની સરહદ ભારતની સરહદ સાથે જોડી આપવા જેવું છે. તિબેટ પરની સામ્યવાદી ચીનની સરહદ ભારતીય સરહદની સુરક્ષિતાને નુકસાન કર્યા સિવાય રહેશે નહીં. આથી ભારત સરકારે તાત્કાલિક આપણી સરહદોની પકડ મજબૂત કરવી જોઈએ. સાથે સાથે તિબેટ માટેનું અલગ ધોરણ પણ સ્વીકારવું જોઈએ.’ (જ્યોતિ વર્ષ – ૬, અંક ૫-૮, ૧૨.૬૨ શનિવાર) ૧૯૫૫માં પ્રસિદ્ધ થયેલ પોતાના ગ્રંથ ‘‘Thoughts On Linguistic States’’’ ‘‘ભાષાવાર રાજ્ય વિશે વિચારો…માં પણ તેમણે ચીનનાં આક્રમણની ભીતિ વ્યક્ત કરતાં સંરક્ષણ દૃષ્ટિએ સંપૂર્ણ નકામી એવી હાલની દિલ્હીની રાજધાની ખસેડી, રાષ્ટ્રની મધ્યમાં દક્ષિણમાં હૈદરાબાદ-સિકંદરાબાદ સમીપ લઈ જવાનો વિકલ્પ વ્યક્ત કર્યો હતો. કલકત્તા તિબેટ-ચીનની સમીપ પડતું. મુંબઈ બંદર હતું એટલે રાજધાની તરીકે યોગ્ય ગણાય નહીં. વળી રાજધાની રાષ્ટ્રના મધ્યમાં રહેવાથી દક્ષિણ ભારતનાં લોકોના અસંતોષને પણ દૂર કરી શકાય તેમ હતું. ડૉ. આંબેડકરની આર્ષવાણી પછીના માત્ર સાત જ વર્ષમાં ૧૯૬૨માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ના ભ્રમમાં રાચતા લોકોને લપડાક લગાવી દીધી હતી. આગળ જતાં પોાતના ગ્રંથમાં ભાષાવાર રાજ્યની મીમાંસા કરતા પણ તેમણે લખ્યું હતું કે,
પ્રથમ તો ભાષાવાર રાજ્ય રચના પંચે વિસ્તાર તથા વસ્તીનો વિચાર કર્યા સિવાય આડેધડે ભાષાવાર રાજ્યની રચના ‘એક ભાષા એક રાજ્ય’ પર કરી છે તે ખોટી છે. તેમનું કહેવું હતું કે, સાચો સિદ્ધાંત ‘એક રાજ્ય એક ભાષા’ના આધાર ઉપર રાજ્યોની રચના થવી જોઈતી હતી. ઉત્તર ભારતનું ‘સંલગ્નકરણ’ (Unificatian) અને દક્ષિણ ભારતનું દ્વીપકલ્પીકરણ (Balkanization) પ્રશ્નો પેદા કરશે. ‘એક ભાષા એક રાજય’ના વિકૃત સિધ્ધાંતને પરિણામે ઉત્તર ભારતમાં ઉત્તરપ્રદેશ બિહાર જેવા તોતિંગ હિન્દી ભાષા રાજ્યોનું નિર્માણ થયું, તેની સામે દક્ષિણમાંના નાનાં નાનાં રાજ્યો થયાં. વળી, ભારતીય રાજકારણમાં હંમેશા હિન્દીભાષીનું જ પ્રભુત્વ રહ્યું. અંતે, ‘ઉત્તરભારત વિરુદ્ધ દક્ષિણ ભારતની’ ભાવના નિર્માણ થઈ જેને કારણે હિન્દીની સામે દક્ષિણમાં મોટાં હુલ્લડો પણ થયાં હતાં. આથી તેમણે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ રાજ્યોના વિભાજનની વ્યવસ્થા (ડૉ. આંબેડકરે) સૂચવી હતી જેમાં વસ્તી વિસ્તાર સરેરાશ સમાન રહે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ મધ્ય, પૂર્વ, પશ્ચિમ એવા ત્રણ સમાન વિભાગો કરવાનાં સૂચનો પ્રસ્તુત કર્યા હતાં.
એક ભાષા બોલનારી પ્રજાનાં પણ એક કરતાં વધારે રાજ્યો વિશ્વમાં સર્વત્ર છે જ અને તે સાચો સિધ્ધાંત છે. વળી, તેમણે રાજધાની દિલ્હીને સંરક્ષણ અને ભૌગોલિક રીતે તેમજ વાતાવરણની દૃષ્ટિએ સંપૂર્ણપણે અયોગ્ય ગણી છે. ભારતના મધ્યમાં હૈદરાબાદ-સિકંદરાબાદ સમીપ રાખવાનું સૂચન કર્યું હતું. ચિંતક ડૉ. આંબેડકરના સૂચનો જો ભાષાવાર રાજ્ય રચના સંદર્ભમાં સ્વીકારાયો હોત તો આજે રાષ્ટ્રની ભાવાત્મક એકતા વધારે પ્રબળ બની હતો. ભાષાવાદની સંકુચિતતાએ માથું ઊંચક્યું ન હોત. એક રાજ્ય એક ભાષાના સંદર્ભમાં પોતે મહારાષ્ટ્રીયન હોવા છતાં પણ મહારાષ્ટ્રના ભાગલા સૂચવ્યા હતા. વળી મુંબઈ મહારાષ્ટ્રને જ મળે તે આગ્રહ રખાયો હતો. અગાઉના પોતાના વિચારોના આલોચકોને તેમણે રદિયો આપતાં ૧૯૫૫માં કહ્યું કહે (ભાષાવાર રાજ્યો ગ્રંથની પ્રસ્તાવના) ‘વિરોધી તથા દુષ્ટ આલોચકો હોય છે તે મારી અસંગતતા (INCONSISTENCYU)નો લાભ ઉઠાવવા માંગતા હોય તેમને આ મારો સીધો જવાબ છે. એમણે કહ્યું કે સુસંગતતા એ (CONSINTENCY) ગધેડાનો ગુણ છે અને મારે મારી જાતને ગધેડો બનાવવી નથી. સુસંગતતાને નામે કોઈપણ વિચારશીલ વ્યક્તિને, તેણે એકવાર વ્યક્ત કરેલા વિચારોથી બાંધી શકાય નહીં. સુસંગતતા કરતાં જવાબદારી વધુ મહત્વની છે. જવાબદાર વ્યક્તિએ પોતે ભણ્યું ન ભણ્યું કરતાં શીખવું જોઈએ. ફરી વિચારવાની અને વિચારો બદલવાની (નૈતિક) હિંમત જવાબદાર વ્યક્તિમાં હોવી જોઈએ. અલબત્ત પોતે જ ભણ્યોછે તે ન ભણ્યું કરવા અને પોતાના વિચારોને નવો ઓપ આપવા (તેની પાસે) સાચાં અને પૂરતાં કારણો હોવાં જોઈએ. વિચારણામાં કશું જ આખરી હોતું નથી. (વો.૧. પૃ.૧૩૯) ડૉ. આંબેડકરનો આગ્રહ હતો. ‘નેતાઓ લોકોની લહેરે-ધૂને લળી જવું જોઈએ નહીં. નૈતિક હિંમત દાખવી (અપ્રિય થઈને પણ) લોકોને મુક્તિનો સાચો માર્ગ બતાવવો જોઈએ.’

‘‘A Leader Should Not Pandero To The Whim Of The Peoole…. He Was Leader Who Placed Courageously Before The People The ‘‘True Path’’ Of Salation (Keep) PP.476)’’

ગતિશીલ નેતૃત્વનાં મર્મી, બાબાસાહેબ સમય, સંજોગો પરિસ્થિતિ પ્રમાણે પોતાની વ્યૂહનીતિમાં પરિવર્તન આણવા સ્હેજ પણ ખચકાતા નહીં. તેમની વિચારવાની પદ્ધતિ ‘વસ્તુલક્ષી’ હતી.
પોતાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. આંબેડકરને સન્માનવા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ૧૯૫૦ના કહેણને અમલમાં મમ્કવા ડૉ.આંબેડકરે હવે નવરાશ કાઢી. તા.૧-૬-૧૯૫૩ના દિવસે ટી.ડબલ્યુએ વિમાન દ્વારા જવાનું નક્કી થયું. ડૉ. સવિતા આંબેડકરને અમેરિકા સાથે જવાની મહેચ્છા હતી પરંતુ ડૉ. આંબેડકરે ઘસીને ગુસ્સાથી ના પાડી દીધી. આગલા દિવસે તેમનાં માનમાં એક વિદાય સમારંભ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના મેદાનમાં ગોઠવાયો હતો. ‘ભારતની વિદેશનીતિ વિશે અમેરિકામાં શું કહેશો ?’ તેવા પત્રકારોનાં પ્રશ્નોને ઉડાવી દેતાં દેશભક્ત ડૉ. આંબેડકર કહ્યું.
‘હું અમેરિકા સન્માન મેળવવા જાઉં છું. આપણાં દેશની ટીકા કરવા નહીં. ભારતનાં લોકો કે સરકારનું અવમૂલ્યન થાય તેવું કશું જ હું બોલી શકું જ નહીં. આપણાં ઘરની વાત અહીંયા ઘરે જ કરવાની હોય છે. રાષ્ટ્રનું માનસન્માન ક્યાં કેવી રીતે જાળવવું વધારવું તેની મને પૂરેપૂરી ખબર છે. આજદિન સુધી હું પરદેશી લોકો સાથે આવું કદાપિ બોલ્યો પણ નથી.’
તા.૧-૬-૧૯૫૨ના દિવસે પ્રસ્થાન કર્યું. વિમાનઘર ઉપર હજારો લોકોએ ભારે હર્ષનાદ વચ્ચે વિદાય આપી. ગુજરાતમાંથી શ્રી વી.ટી.પરમાર તથા ખાનદાસ પરમારને (ખંભાત) પણ આ વિદાય આપવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું, તેઓ પણ ત્યાં હાજર હતાં.
૬ જુન, ૧૯૫૨નાં દિવસે તેમને ‘એલ.એલ.ડી. ડૉક્ટર ઓફ લોઝ’ની સન્માનનીય પદવી અર્પણ કરવામાં આવી. તેમની સાથે અગિયાર અને સુપ્રસિદ્ધ વિભૂતિઓ પણ હતી જેમાં કેનેડાના વિદેશપ્રધાન મિ. લેસ્ટર પિયરસન, ફ્રાંસના સાહિત્યકાર – ઈતિહાસકાર એમ.ડેનિયલ માર્ટનનો સમાવેશ થતો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરને પદવી અર્પણ કરતાં ભારતીય બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને માનવ અધિકારો માટે ઝઝૂમતા ‘વીર યોદ્ધા’ તરીકે નવાજવામાં આવ્યાં હતાં. પદવીપત્રનું અસલ અંગ્રેજી આ પ્રમાણે છે.

CITATION
‘‘COLUMBIA UNIVERSITY IN THE CITY OF NEW YOUR BHIMRAO RAMJI AMBEDKAR. LL.D.’’
Born In India And Schooled Tgghere Undder Heavy Hardshops : B.A. Of The University Of Bombay At Twenty And For Three Years A Graduate Student In This University, Receiving The Doctorate In Political Science, Subsequently A Student Of The Inns Of Court And The University Of London Obtaining A Doctorate In Economics, For The Past Three Decades As Barrister, University Professor And Member Of The Legislative Council AS A Former Of The Constitution, Member Of The Cabinet And Of The Council Of State. One Of India’s Leading Citizents, A Great Social Reformer And A Valiant Upholder Of Human Rights.
In The Exercise Of The Authority Conferred Upon Me By The Trustees, I Gladly Admit You To The Degree Of Doctor Of Laws, Honoris Cause, In This University And Confer Upon You All The Rights And Privilegges Which Attach There To, Tin Token where Of I Hand You This Diploma.
Sd/- Graydon Kirk,
June 5 – 1952 Vice – Presiden + And Provost

અમેરિકા તેઓ પોતાની તબિયત માટે ડૉક્ટરી સારવાર માટે રોકાવા માંગતા હતાં, પરંતુ તેમની પાસે વધારે રોકાઈ શકાય તેટલાં નાણાંનો અભાવ હતો. વળી, ભારતમાં તેમને પીપલ્સ એજ્યુકેશન સોસાયટી અને અન્ય મહત્વનાં સામાજિક કાર્યો બાકી હતાં. તેઓ હંમેશાં કામને જ પ્રાથમિકતા આપતાં, તંદુરસ્તીને નહીં. આથી બે અમેરિકન ડૉક્ટરો પાસે તપાસ કરાવી, દવા પ્રિસ્ક્રીપ્શન લખાવી તા.૨૧-૬-૧૯૫૨ની સાંજે મુંબઈ પરત આવ્યાં. વિમાનઘર ઉપર હજારો લોકોની હાજરીએ તેમનું ભવ્ય સન્માન કર્યું. ડૉ. સવિતા આંબેડકર તેમની આરતી ઉતારવા આવ્યાં ત્યારે તેમણે ગુસ્સાથી ના પાડી દીધી. આ પ્રજ્ઞાવાન પુરુષને, વીરપૂજા વિરોધ વિભૂતિને આવી વેવલાઈ ગમે જ કેમ ? તેઓ આવા ક્રિયાકાંડથી હંમેશા અળગા રહેતાં હતાં. વિમાનઘરેથી રાજગૃહ ન જતાં તેઓ સીધા ધારાસભ્યોના નિવાસસ્થાને (મેજેસ્ટીક હોલ) ગયાં, ત્યાં એકાદ સપ્તાહ રોકાયા બાદ રાજગૃહે ગયાં હતાં. આ અરસામાં પશ્ચિમ બર્લિનમાં મળનારી ‘કાનૂનવિદ’ પરિષદમાં પધારવાનું નિમંત્રણ પણ તેમને મળ્યું હતું પરંતુ તે ત્યાં ગયા નહતાં. અંગ્રેજી પત્રકારે સાચે જ લખ્યું હતું કે, ઘરે કે બહાર ગમે ત્યાં ડૉ. આંબેડકર હંમેશા સમાચારસમા હતાં. ‘‘Wherever In The Office Or Out Of It Dr. Ambedkar Is Always News.’’
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

कश्मीर पर विपक्ष की मसखरी

aapnugujarat

ગુજરાત તરસ્યું કેમ?

aapnugujarat

मोहन भागवत का बौद्धिक साहस

editor

Leave a Comment

UA-96247877-1