ભાજપ પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ બંને નેતાઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સંસ્કૃત ભાષામાં શપથ લીધા બાદ સ્મૃતિ ઇરાનીએ નાયડુના ચરણ સ્પર્શ કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં યોજાયેલી હાઈવોલ્ટેજ ચૂંટણીમાં અમિત શાહ અને ઇરાનીની જીત થઇ હતી જ્યારે ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે રહેલા બળવંતસિંહ રાજપૂતની હાર થઇ હતી. બળવંતસિંહની સામે કોંગ્રેસના અહેમદ પટેલની જીત થઇ હતી. ગુજરાતમાંથી રાજ્યસભાની આ ચૂંટણી હજુ સુધીની સૌથી ઐતિહાસિક બની હતી. અનેક વખત વાતચીતનો દોર યોજાયો હતો. ભાજપ અને કોંગ્રેસ તરફથી અનેક વખત ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ પરિણામ પાંચ વાગ્યાના બદલે આગલા દિવસે વહેલી પરોઢે પરિણામ આવ્યા હતા.