આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવની ૨૭મી ઓગષ્ટના દિવસે યોજાનારી દેશ બચાવો ભાજપા ભગાવોની રેલી ફ્લોપ રહે તેવી શક્યતા દેખાઇ રહી છે. કારણ કે મોટા મોટા નેતા આ રેલીમાં ભાગ લેનાર નથી. બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ હવે એવુ જાણવા મળ્યુ છે કે કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી પણ આ બેઠકમાં ભાગ લેનાર નથી. ગાંધી નોર્વે જઇ રહ્યા છે જેથી તેઓ કાર્યક્રમમાં ભાગ લેનાર નથી. નોર્વેના વિદેશ મંત્રાલયના આમંત્રણ પર રાહુલ ઓસ્લો જઇ રહ્યા છે. ગાંધીએ ટિ્વટર પર આજે આ મુજબની વાત કરી હતી. અન્ય ટ્વીટમાં રાહુલે કહ્યુ છે કે રાજકીય અને બિઝનેસ નેતાઓ સાથેની બેઠક ખુબ ઉપયોગી રહેનાર છે. પટણાના ગાંધીન મેદાન ખાતે ૨૭મી ઓગષ્ટના દિવસે લાલુ વિશાળ રેલી યોજવા માટેની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી એકતાની તાકાતનો પરિચય આપવાના તેમના ઇરાદામાં સફળતા ન મળે તેવી વકી છે.
આ પહેલા હેવાલ આવ્યા હતા કે ભાજપ ભગાડો દેશ બચાવો રેલીમાં બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી ભાગ લેશે નહી. ગઇકાલે ગુરૂવારના દિવસે માયાવતીએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે બહુજન સમાજ પાર્ટી પટણા રેલીમાં ભાગ લેનાર નથી. આરજેડીને પહેલાથી જ કહી દેવામાં આવ્યુ હતું કે બહુજન સમાજવાદી પાર્ટી એ વખતે મંચ પર આવશે જ્યારે કહેવામાં આવશે કે કોણ કોણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે. આ પહેલા પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવે કહ્યુ હતુ કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને માયાવતી આ કાર્યક્રમમાં ભાગ લેશે નહી. જો કે કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને સીપી જોશી ભાગ લેશે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ કાર્યક્રમમાં હાજરી આપનાર છે.