ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ફરી એકવાર દિલ્હીમાં ધામા નાંખ્યા છે. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી અને જરૂરી વ્યૂહરચના સહિતના મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્હીમાં કોંગ્રેસના મોવડીમંડળ સાથે બંધબારણે આઠ કલાક લાંબી મહત્વની મેરેથોન બેઠક યોજાઇ હતી. આવતીકાલે પણ બેઠકનો દોર જારી રહે તેવી શકયતા સેવાઇ રહી છે. બીજીબાજુ, શંકરસિહ વાઘેલાએ આજે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતાં અને ભાજપ સરકારના મુખ્યમંત્રી સહિતના નેતાઓએ તેમની સાથે હાજરી આપતાં કોંગ્રેસ પણ બાપુ ભાજપની છાવણીમાં બેસી પડદા પાછળ રહી કોંગ્રેસને નુકસાન ના પહોંચાડે તેની ચિંતામાં મથામણ કરી રહી છે. બાપુ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની કૂટનીતિ ઘડેે તો તેની સામે આપણી શું રક્ષણાત્મક અને વળતા પ્રહારની રણનીતિ હોય તે મુદ્દાના મંથનમાં પણ સરકાર વ્યસ્ત બની છે. રાજયસભાની પ્રતિષ્ઠિત ચૂંટણીનો જંગ જીત્યા બાદ અને પોતાના ઉમેદવાર એહમદ પટેલની બેઠક સાચવવામાં સફળ થયેલી કોંંગ્રેસના ગુજરાતના નેતાઓ આજે ફરી એકવાર દિલ્હી ખાતે મોવડીમંડળના નેતાઓ સાથે ચર્ચા વિચારણા માટે પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પક્ષના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના રાષ્ટ્રીય નેતાઓને મળ્યા હતા અને તેમની સાથે આઠ કલાક સુધી લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ, સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસાર, ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેર વિસ્તારોમાં પણ કેવી રીતે પકડ મજબૂત બનાવવી સહિતના મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. જો કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે રાહુલ ગાંધીને મળી શકયા ન હતા, તેના કારણે તેઓ દિલ્હી જ રોકાઇ ગયા છે. આવતીકાલે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળની કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ખૂબ મહત્વની બેઠક યોજાય તેવી શકયતા છે. દિલ્હીથી પરત આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા મહત્વના નિર્ણયો લેવાય અને તેની અમલવારી કરાય તેવી શકયતા પણ સેવાઇ રહી છે. ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસના માળખાના ગઠનની પ્રક્રિયા જે વિલંબિત થઇ છે તેની કવાયત હાથ ધરાય તેવી પણ શકયતા છે.
પાછલી પોસ્ટ