ગોરખપુરના બીઆરડી હોસ્પિટલમાં બાળકોની મોત બાદ હોસ્પિટલના મેનેજમેન્ટી વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રવિવારે બીઆરડી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને વાઈસ પ્રિન્સીપાલ ડોક્ટર કફીલ ખાનને હટાવી દેવાયા છે. કફીલને હોસ્પિટલની તમામ ડ્યુટી પરથી હટાવી દેવાયા છે. ડોક્ટર કફીલ ખાન બીઆરડી હોસ્પિટલમાં ઈન્સફેલાઈટિસ વિભાગના ઈન્ચાર્જ હતા. સાથે જ તેમની પાસે કોલેજના વાઈસ પ્રિન્સીપાલ અને હોસ્પિટલના અધિક્ષકની પણ જવાબદારી હતી. જોકે, અત્યાર સુધી કફીલ ખાનને હટાવવાનું કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે હોસ્પિટલની મુલાકાત બાદ આ સમાચાર સામે આવ્યા છે.આ પહેલા શનિવારે સોશિયલ મીડિયામાં એ સમાચાર સામે આવ્યા હતા કે, કફીલ ખાને હોસ્પિટલમાં ઓક્સિજન પૂરુ થયા બાદ તેની વ્યવસ્થા કરવાના દરેક પ્રયાસો કર્યા હતા. કેટલાક મીડિયાએ દાવો કર્યો હતો કે, કફીલ ખાને પોતાના ખિસ્સાના ખર્ચે હોસ્પિટલમાં ગેસની વ્યવસ્થા કરાવી હતી. સાથે જ પોતાની ઓળખવાળા ડોક્ટરોને પણ ઓક્સિજનની વ્યવસ્થા કરવા મદદ લીધી હતી.પરંતુ, રવિવારે સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર મુલાકાત બાદ કફીલ ખાનના વિરુદ્ધમાં એક્શન લેવાયું હતુ. હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, બાળકોની મોત માટે જવાબદાર લોકોની વિરુદ્ધમાં દરેક પ્રયાસ કરવામાં આવશે. તેના બાદ જ રવિવારે સાંજે ડોક્ટર કફીલની વિરુદ્ધમાં એક્શન લેવાયાના સમાચાર સામે આવ્યા હતા.બીજી તરફ બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. રવિવારે પણ મગજના તાજવથી એક અને ૪ વર્ષના એક બાળકના મોતના સમાચાર સામે આવ્યા હતા. ગત ૩ દિવસોમાં મોતનો આંકડો ૬૮ પર પહોંચી ગયો છે.સીએમ આદિત્યનાથે જણાવ્યું કે, પ્રમુખ સચિવની અધ્યક્ષતામાં જ તપાસ થઈ રહી છે. દોષીઓને કોઈ પણ કિંમત પર છોડી નહિ દેવાય. આ પહેલા શનિવારે જ હોસ્પિટલના પ્રિન્સીપાલ રાજીવ મિશ્રાને હટાવી દેવાયા હતા.
પાછલી પોસ્ટ