ચીનની એરલાઈન્સના કર્મચારીઓએ શાંઘાઈ પુદોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીયો સાથે ગેરવર્તન કર્યું હોવાના અહેવાલ વહેતા થયા છે. ભારતીય પેસેન્જરે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દો વિદેશપ્રધાન સુષમા સ્વરાજના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દો ચીનના વિદેશ મંત્રાલયના શાંઘાઈ કાર્યાલય અને પુદોંગ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો.
જોકે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે આ અંગેના આરોપને ધરાર રદિયો આપ્યો છે અને કહ્યું હતું કે સંલગ્ન સામગ્રી તેમજ એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ પછી જાણવા મળ્યું હતું કે આ અંગેની ઘટનામાં કોઈ જ તથ્ય નથી. એરલાઈન્સે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઈન્સના કર્મચારીઓએ પ્રભાવશાળી સેવા બજાવી છે. અગાઉ અહેવાલ હતા કે નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશનના કાર્યકારી નિદેશક સતનામસિંહ ચહલે પત્ર લખી સુષમા સ્વરાજને જણાવ્યું હતું કે વ્હીલચેરના પેસેન્જર્સના બહાર નીકળવા માટેના એક્ઝિટ દ્વાર પર ગ્રાઉન્ડ સ્ટાફ ભારતીય પેસેન્જર્સનું અપમાન કરી રહ્યા હતાં.ચહલ છઠ્ઠી ઓગસ્ટે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની ફલાઈટમાં નવી દિલ્હીથી સેન ફ્રાન્સિસકો ગયા હતાં. શાંઘાઈના પુદોગં એરપોર્ટ પરથી તેઓ સેન ફ્રાન્સિસ્કો જતાં વિમાનમાં બેઠા હતાં. તેમણે જ્યારે આ અંગેની ફરિયાદ એરલાઈન્સ સમક્ષ કરી તો ચાઈનીઝ અધિકારી બરાડા પાડવા લાગ્યો હતો.
આગળની પોસ્ટ