ઉત્તરાખંડમાં આભ ફાટતાં બારે મેઘ ખાંગા થતાં સમગ્ર રાજયમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જેમાં ભારે વરસાદથી સાતથી આઠ મકાન જમીનદોસ્ત થઈ ગયાં છે. તેમજ અનેક પશુઓ પણ તણાઈ ગયાં છે. જોકે વરસાદથી કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી. રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં બંગપાની વિસ્તારમાં આભ ફાટતાં એક પુલ ધોવાઈ ગયો હતો. તેમજ છ જેટલાં મકાન જમીનદોસ્ત થઈ ગયાં હતાં. આ ઉપરાંત પૂરમાં બે ડઝન જેટલાં પશુઓ તણાઈ ગયાં હતાં.તેમજ અનેક ઝાડ અને રોડને પણ ભારે નુકસાન થયું હતુંં. આ ઉપરાંત અનેક સ્થળે ભૂસ્ખલન થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે બદરીનાથ લાંબગઢ હાઈવે બે કલાક બંધ રહેતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ ઉપરાંત જોશીમઠ અને ગોવિંદઘાટ વચ્ચે પિનૌલા હાઈવેનો ૨૦ ટકા ભાગ તણાઈ ગયો હતો. જેના કારણે બદરિનાથ યાત્રા પર અસર થઈ હતી.દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં દહેરાદૂન, પૌંડી, ચમોલી, પિથોરાગઢ,નૈનીતાલ અને હરિદ્વાર સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભારે વરસાદથી અનેક હાઈવે ધોવાઈ ગયા છે. તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. તેમજ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.